પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


વળી બરતરફીનો ઠરાવ પણ હિંદી સરકારની નીતિથી કેવો વિરુદ્ધ હતો તે પણ બહુ સચોટ રીતે દર્શાવ્યું. એ ભાગ નીચે ઉતાર્યો છે:

“મૉન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા બહાર પડ્યા પછી સને ૧૯૧૮ના મે માસમાં સ્થાનિક સ્વરાજ્યની નીતિ ઉપર હિંદી સરકારે એક ઠરાવ બહાર પાડ્યો હતો. . . . સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભૂલો કરવા તેમ જ તે ભૂલોને અનુભવથી સુધારવાની જેમ બને તેમ પૂરતી તક આપવી અને સરકારી અમલદારોએ તેમના વહીવટમાં દખલગીરી કરવી નહીં, એ વાત સદરહુ ઠરાવમાં મુખ્ય સિદ્ધાંતરૂપે સ્વીકારવામાં આવી છે. ઠરાવમાં કહ્યું છે :
“‘આ ઠરાવના આરંભમાં જ જણાવ્યું છે તેમ હિંદ સરકારનો મુખ્ય સિદ્ધાંત એ છે કે ખાસ ગંભીર ગેરવહીવટવાળા દાખલાઓ સિવાય બીજે બધે જ સ્થાનિક મંડળો ભૂલો કરે છે તેવી ભૂલો કરવા દઈને પણ એવી ભૂલોથી જ એમને શીખવા દેવાનું અને તેમની વ્યવસ્થામાં અંદરથી કે બહારથી દખલ ન કરવાનું ધોરણ રાખવું. આથી ઉપર જણાવ્યા મુજબના ક્વચિત અપવાદ સિવાય એવી દખલગીરીની કશી જ સંગીન સત્તા સરકારી અમલદારોને આપવાની હિંદી સરકારની ધારણા નથી અને તેને ઉમેદ છે કે આમ કાયદાથી મળતી વધુ વિશાળ સત્તાનો ઉપયોગ કરવામાં ઉપર જણાવેલા સિદ્ધાંતને નજર સામે રાખવામાં આવશે. વળી કોઈ પ્રસંગે કાયદાથી મળતા આકરા ઇલાજો લેવાની સત્તા ચલાવતાં પહેલાં પ્રાંતિક સરકારે મ્યુનિસિપલ અગર સ્થાનિક મંડળોને ફારગ કરી નાખી નવેસર ચૂંટણી કરવાનો હુકમ કાઢવાનું પગલું લેવું અને મ્યુનિસિપાલિટીને સીધી સજા કરવાનું પગલું ટાળવું.”
“અમદાવાદ જેવી સરકારી અહેવાલમાં પણ કાબેલ તરીકે પંકાયેલી મ્યુનિસિપાલિટીના વહીવટમાં પણ વારંવાર દખલ કરીને સ્થાનિક અમલદારોએ હિંદ સરકારના આ ઠરાવનું હડહડતું ઉલ્લંધન કર્યું છે. તેને મુંબઈ સરકારે આ બરતરફીનો હુકમ કરી બહાલી આપી છે. . . .હિંદ સરકારના ઠરાવમાં આગળ કહ્યું છે કે :
“‘વળી આ ઠરાવની ઘણીખરી સૂચનાઓનો અમલ, કાયદામાં ફેરફાર કરવાની રાહ જોયા વગર જ કરી શકાય તેમ છે અને તેથી જ્યાં તેમ થઈ શકે તેમ હોય ત્યાં વગર ઢીલે તેવો અમલ કરવો.”
“અમદાવાદ મ્યુનિસિપાલિટીની બાબતમાં તો મ્યુનિસિપલ ઍક્ટમાં કશા ફેરફાર કર્યા વગર જ મુંબઈ સરકાર વડી સરકારની ઉપલી ભલામણનો અમલ કરી શકે તેમ હતું, કારણ નવી ચૂંટણીનો સમય છેક નજીક આવી પહોંચ્યો હતો. ચૂંટણીની તારીખો સુદ્ધાં મુકરર થઈ ચૂકી હતી અને મિલમાલેકો તરફના પ્રતિનિધિની ચૂંટણી તો થઈ પણ ગઈ હતી. આટલું છતાંયે બધા રીતસરના રસ્તા વીંટાળી મૂકી એકે સ૫ાટે મ્યુનિસિપાલિટીને બરતરફ કરીને મુંબઈ સરકારે હિંદ સરકારની ભલામણનો ચોખ્ખો અનાદર કર્યો છે.”