પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી


ગાંધીજીને આ સમજૂતીની ભાષા બહુ વિનયભરી લાગી. તેમણે એના ઉપર ટીકા કરતાં લખ્યું :

“સરકારી નોકરીમાં રહેતાં છતાં દેશી અમલદારો વિવેક વાપરતા થઈ જાય એ કંઈ વધારે પડતું નહીં ગણાય. પણ જો આ સમજૂતીની ભાષા અંગ્રેજ અમલદારે જોઈ સમજીને પસંદ કરી હોય તો એને હું મોટો ફેરફાર ગણું છું અને આપણી લડતનો શુભ આરંભ ગણું છું. . . આ સમજૂતીને વધાવી લેવાની સાથે હું એટલું કહી જવા ઇચ્છું કે બારડોલી તાલુકાના એક પણ ખેડૂતને અજાણપણામાં રાખવામાં આવ્યો નથી. દરેક સ્ત્રીપુરુષને કહેવામાં આવ્યું છે કે સરકાર
૧. પાક બધો વેચી શકે છે.
૨. લાખોનો પાક કોડીને દામે લઈ શકે છે.
3. ઢોરઢાંખર, વાસણકૂસણ પણ લઈ જઈ શકે છે.
૪. ઇનામી જમીન પણ ખાલસા કરી શકે છે.
૫. લોકોને જેલમાં મોકલી શકે છે.
૬. લોકોને રેલ, તાર, ટપાલ વગેરે સાથેનો સંબંધ બંધ કરી બારડોલી તાલુકાને ઘેરો ઘાલી લોકોને તેમાં પૂરીને થકવવાનો પ્રયત્ન કરી શકે છે.
“આ બધા ઉપદ્રવ પૂરેપૂરી શાન્તિપૂર્વક લોકો સહન કરવા તૈયાર હોય તો જ લડે.”

આગળ ઉપર લડત જ્યારે બંધ રાખવામાં આવી અને ત્યાર પછી માર્ચ મહિનામાં ગાંધીજીને પકડવામાં આવ્યા ત્યારે ઉપરની સમજૂતી કાઢનાર આસિસ્ટંટ કલેક્ટર શ્રી શિવદાસાનીએ પોતાની નોકરીનું રાજીનામું આપી દીધું હતું.

ગાંધીજીએ અને સરદારે તો બારડોલીની યોગ્યતા વિષે ખાતરી કરી લીધી હતી, છતાં વિશેષ ચોકસાઈની ખાતર બારડોલીની તૈયારીની બરાબર તપાસ કરવાનું કામ ગાંધીજીએ શ્રી વિઠ્ઠલભાઈ પટેલને સોંપ્યું. તેઓએ તા. ૨૪મી જાન્યુઆરીથી બારડોલીમાં પોતાનો મુકામ કરી ગામેગામ ફરી તપાસ કરવા માંડી. પછી તા. ૩૦મી ના રોજ સત્યાગ્રહનો ઠરાવ કરવા બારડોલી તાલુકાની પરિષદ બોલાવવામાં આવી. બારડોલી તાલુકા સમિતિના પ્રમુખ શ્રી કુંવરજી વિઠ્ઠલભાઈ મહેતા સ્વાગત પ્રમુખ હતા. પરિષદનું પ્રમુખસ્થાન શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપવામાં આવ્યું હતું અને ગાંધીજી, સરદાર તથા કૉંગ્રેસ કારોબારીના જે સભ્યો તે વખતે બહાર હતા તેમણે એ પરિષદમાં હાજરી આપી હતી.

નામદાર વિઠ્ઠલભાઈએ પ્રમુખ તરીકેના પોતાના ભાષણમાં જણાવ્યું :

“હું આ પરિષદના પ્રમુખ તરીકે જ અહીં આવ્યો નથી. તાલુકામાં આવીને તપાસણી કરવી એ કામ પણ મને સોંપાયેલું છે. તે મુજબ હું અહીં