પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩
ગૃહજીવનમાં ડોકિયું

નહોતું. હું ધારું છું કે તમને બધાને તેથી માઠું લાગ્યું હશે. પરંતુ મારાથી પછીથી આવવાનું બને તેમ નહોતું તેથી ઉતાવળ કરવી પડી. હવે ઈશ્વર કરશે તો વખત જતાં વાર લાગશે નહીં અને ફરીથી તમારાં બધાંનાં તથા માતાપિતાનાં દર્શનનો ભાગ્યશાળી થઈશ.

હું ત્યાં હતો ત્યાં સુધી મારાથી બન્યું તેટલું ઘર તરફ તેમ જ બધી તરફ લક્ષ આપેલું. હાલ તો મારાથી કંઈ થઈ શકે તેમ નથી.
માતાપિતાને મારા પ્રણામ કહેશો. વારંવાર પત્ર લખશો. એ જ
લિ. આપનો સેવક,
વલ્લભભાઈના દંડવત્‌
 


વિલાયત પહોંચ્યા પછી થોડા જ મહિનામાં એક પરીક્ષા આપી. તેના પરિણામની ખબર આપતાં લખે છે :

લંડન, તા. ૧૯–૧–’૧૧
 
મુ. ભાઈ નરસીભાઈ,
ચિ. ભાઈ કાશીભાઈ બિલકુલ કાગળ લખતા નથી અને ઘર તરફની કંઈ ખબર મળતી નથી માટે તમે વારંવાર પત્ર લખતા રહેશો. તેમ કાશીભાઈ આવે તો તેમને પણ કાગળ લખવા કહેશો.
મારી એક પરીક્ષા થઈ ગઈ. તેમાં હું પહેલે નંબરે પાસ થયો છું. મુ. પિતાશ્રી તથા માતુશ્રીને મારા નમસ્કાર કહેશો.
મારી તબિયત સારી રહે છે. આ તરફની કંઈ ચિંતા કરશો નહીં. ઈશ્વર કરશે તો બે વરસ પૂરાં થતાં વાર લાગશે નહીં અને હું આપનાં સર્વેનાં દર્શનનો ભાગ્યશાળી થઈશ.
ભાઈ કાશીભાઈનું હવે સાધારણ ઠીક ચાલતું હશે. સર્વેને સંભારજો. એ જ
લિ. આપનો સેવક,
વલ્લભભાઈના દંડવત્‌
 


છેલ્લી પરીક્ષા પાસ થયા પછી લખે છે :

મિડલ ટેમ્પલ, ઈ. સી,
તા. ૭–૬–’૧૨
 
મુ. નરસીભાઈ,
મારી પરીક્ષા પૂરી થઈ છે. હું પહેલા વર્ગમાં પાસ થયો છું. એટલે હવે છ માસ જલદી આવવાનું થશે. આવતા જાનેવારી માસમાં હું પાછો આવી જઈશ. હવે ઘણો વખત નથી. ઈશ્વરકૃપાથી છ માસ જલદી આવવાનો લાભ મળ્યો છે. માતાપિતાને આ સમાચારથી વાકેફ કરશો.
તમો સર્વે ખુશીમાં હશો. એ જ
લિ. સેવક,
વલ્લભભાઈના દંડવત્‌ પ્રણામ