લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૩૦

પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ

૧૯ર૯ના ડિસેમ્બરમાં લાહોર ખાતે મળનારા કૉંગ્રેસના અધિવેશનમાં મહત્ત્વના અને કટોકટીના નિર્ણયો લેવાના હતા. ધારાસભાઓ ઉપરથી પં○ મોતીલાલજીનો પણ વિશ્વાસ પૂરેપૂરો ઊડી ગયો હતો. તેમને ચોક્કસ લાગતું હતું કે તમામ કૉંગ્રેસીઓએ ધારાસભાઓમાંથી રાજીનામાં આપીને નીકળી જવું જોઈએ. તે પછી કરવું શું ? ડુમિનિયન સ્ટેટસ કે પૂર્ણ સ્વાતંત્ર્ય, બેમાંથી કોઈ પણ ધ્યેયે સત્વર પહોંચવા માટે સવિનય કાયદાભંગ વિના બીજો કોઈ માર્ગ નહોતો. એવા વખતમાં કૉંગ્રેસનું સુકાન ગાંધીજી જ બરાબર સંભાળી શકશે એમ વડીલ નેતાઓને લાગતું હતું. પ્રાંતની ભલામણો જોઈએ તો દસ પ્રાંતો ગાંધીજીની તરફેણમાં હતા, પાંચ સરદારની તરફેણમાં અને ત્રણ જવાહરલાલની તરફેણમાં હતા. પણ ગાંધીજીએ પ્રમુખ થવાની ચોખ્ખી ના પાડી દીધી. યુવક વર્ગ ૫ં○ જવાહરલાલજીને પ્રમુખ બનાવવા ઈચ્છતો હતો. પ્રમુખની વરણી કરવા માટે જ સપ્ટેંબરની આખરે ખાસ બોલાવવામાં આવેલી લખનૌની મહાસમિતિમાં યુવક વર્ગ તરફથી એક ભાઈએ કહ્યું પણ ખરું કે :

“ગાંધીજી પોતે જ કહે છે કે પ્રમુખપદ ન સ્વીકારવાનો મેં નિશ્ચય કર્યો છે તો શા સારુ આપણે એમને પજવીએ ? એમની શિસ્ત આપણને બહુ આકરી પડે છે, એમના કાર્યક્રમનો અમલ આપણાથી થતો નથી, આપણે નાહકના એમના નામનો દુરુપયોગ કરીએ છીએ. જવાહરલાલજી જ યુવકોને દોરવાની શક્તિ ધરાવે છે, એટલે એમને નીમવા એ જ સારું છે.”

બંને પક્ષની વાત સાંભળી ગાંધીજીએ કહ્યું :

“હું દિલગીર છું કે કૉંગ્રેસનું પ્રમુખપદ સ્વીકારવાની હોંશ કે ઊલટ મને નથી થતી. હું મારી અંગત નબળાઈઓ આગળ નથી કરતો, પણ પ્રમુખ થઈને દેશની સેવા કરવાની મારી અશક્તિ જોઉં છું. હું પ્રમુખ થાઉં તો જ અમુક વસ્તુ થાય એ ભ્રમ છે. સરકાર એવી મૂરખ નથી કે હું પ્રમુખ હોઉં તો અમુક નીતિ સ્વીકારે અને હું પ્રમુખ ન થાઉં તે પોતાની નીતિ બદલે. આજે તમારો લહિયો થઈને તમે જે કામ સોંપશો તે કરીશ, પણ તમારો સારથિ નથી થઈ શકતો. . . . અમુક માણસ — પછી તે ગમે તેટલો મોટો કેમ ન હોય તો પણ — પ્રમુખપદ લેવાની ના પાડે એટલે કામ ન ચાલે એ મનેાદશામાંથી આપણે નીકળી જવું જોઈએ. મોટાનાના સૌ આવશે ને જશે,

૪૮૯