પુરુષોની જગાએ ગુજરાતી સ્ત્રી પુરૂષો પાત્રસ્થાને ગોઠવાયાં છે. આ ફેરફારને અનુસરતા બીજા ફેરફાર યોજી કાઢવામાં સ્વ. નવલરામે ચતુરાઈ વાપરી છે. જૂદાજ જનમંડળમાં આવ્યા છતાં, જૂદી જાતનાં હોવા છતાં મૂળ ફીલ્ડિંગનું પુસ્તક રૂપાંતર રૂપે મોજુદ છે. હાસ્યરસ લખનાર મોલિચરની વિચિક્ષણ બુદ્ધિ ગુજરાતી 'ભોળા ભટ' માં આવી છે. પણ તેણે ગુજરાતી વેશ પ્હેર્યો છે, અને પોતાની અસલ નાતજાત ન જણાય એમ આવી છે. આ ગ્રંથ બીજા ગ્રંથનું રૂપાન્તર હશે એવી કલ્પના પણ અજાણ્યાને થવી કઠણ છે. મૂળ ગ્રંથકારની કૃતિ જોડે રૂપાંતરકારની પ્રતિકૃતિનું તદન સામ્ય થઈ ગયું છે. આમ થવું એજ રૂપાંતરકારની ચતુરાઈ. ઘણી રીતે સુધરી શકે એવું હજુ છે છતાં ‘ભટનું ભોપાળું’ ઘણે અંશે આવા ચાતુર્યથી ભરેલું છે. મૂળ ગ્રંથકારને ફ્રાન્સમાં, ઇંગ્રેજી અનુવાદકને ઇંગ્લંડમાં તેવીજ રૂપાંતરકારને પણ ગુજરાતમાં કીર્ત્તિ મળી છે. સન ૧૮૬૭ માં આજ ગ્રંથ વડે આ સ્વર્ગવાસી સાક્ષરે ગ્રંથકર્ત્તાના મંડળમાં પ્રથમ પ્રવેશ કર્યો.
આ ગ્રંથ હાસ્યરસપ્રધાન છે. એમાં પ્રથમથી તે છેવટ સુધી અવિચ્છિન્ન હાસ્યરસનો જ પ્રવાહ છે. રસોમાં હાસ્યરસ જ્યારે પ્રાસંગિક હોય છે ત્યારે ઉચ્ચ રસિકને પણ ભોગ્ય થાય છે. જ્યારે સપ્રયોજન હોય છે ત્યારે બુદ્ધિશાળીની પણ પતિભાને દીપાવે છે; અને નૈસર્ગિક હોય છે ત્યારે જનસ્વભાવના પંડિતને કિંમતી થઈ પડે છે. ઉંચી જાતનો હાસ્યરસ આલેખવામાં બુદ્ધિ, અનુભવ, રસિકતા અને ચાતુર્ય એ સર્વનો ઉપયોગ છે. હસે છે તો બધાં પણ ચતુરના હસવા હસાવવામાં કાંઈ અપૂર્વતા રહેલી છે.
ज्यों कदरिके पातमें पात पातमें पात,
त्यों चतुरनकी बातमें बात बातमें बात
(पदुमावती.)
વળી હાસ્યરસના મદારીનું ખરૂં ચાતુર્ય પોતાનાં માંકડાને ખેલવવા કરતાં તેને અંકુશમાં રાખવામાં વધારે જોઈએ છિયે. તેમ જ પ્રસંગ,