વાતાવરણ પથરાઈ ગયું હતું.
“શેઠસાહેબ !” શામળે એમની સામે ઊભા રહીને શરૂ કર્યું. “મારું નામ શામળજી રૂપજી. હું પ્રાર્થનામંદિરનો કારકુન છું. આપની સાથે મારે ઘણી જ ગંભીર ને ખાનગી વાત કરવાની છે.”
“બોલો, શું છે ?” લીલુભાઈએ છાપામાંથી ત્રાંસી, કરડી નજરે શામળ તરફ જોયું.
શામલેળ માંડીને વાત કહી. પોતે કેટકેટલા માણસોને ધર્મસમાજ તરફ વાળ્યા તે કહ્યું. છેવટે બબલાની વાત કહી : “શેઠસાહેબ, એ મનુષ્ય આપણા તરણતારણ સમાજમાં દીક્ષા લેવા નથી આવતો, કેમ કે એને આપણા સમાજમાં પાપાચારીઓ માલૂમ પડ્યા છે.”
“હા ? કોણ છે એ પાપાચારીઓ ?” લીલુભાઈએ પૂછ્યું.
“પ્રથમ તો આપ.”
“હું ? મેં શું પાપ કર્યું છે, છોકરા ?”
“આપ નાનાં બાળકોને મિલોમાં મજૂરી કરાવો છો, ને બાળમજૂરી પ્રતિબંધક ખરડાને તોડી પડાવવા આપે એક બદમાશ મેમ્બરને રુશવત આપી, ચૂંટાવી, વડી ધારાસભામાં મોકલાવેલ છે. એક બાજુથી આપ રાજકારોબારના વિશુદ્ધીકરણની ખોટી વક્તૃતાઓ કરો છો, બીજી બાજુ આપ પોતે જ સુધરાઈના પ્રમુખોનાં ખીસાં ભરી, મોટા કંટ્રાક્ટો લ્યો છો.”
ઓચિંતાનો ગોળીબાર સાંભળી સ્તબ્ધ બનેલા લીલુભાઈ ઘડીક ચૂર્વે રહ્યા. પછી એનો શ્વાસ પાછો વળ્યો. એણે ત્રાડ પાડી : “છોકરા, આ તો નફટાઈની અવધિ થઈ ગઈ !”
“આપ મારા પર ગુસ્સે થશો ? નહીં નહીં, એટલા કઠોર ન બનો. હું આંહીં આપના ભલા માટે જ આવેલ છું. હું આવ્યો છું કેમ કે વિશ્વબંધુ-સમાજના એક અગ્રેસરના આવા પાપાચાર મારાથી સહી ના શકાયા.”
“છોકરા ! પહેલાં તને પૂછી લઉં. પંડિત ધર્મપાલ આ વાત