ચાંપરાજ માન્યો નહિ. સોંપાયો. એના ઉપર મુકર્દમો ચાલ્યો. અને એને જન્મકેદની સજા થઈ. યેરોડાની જેલમાં એને મોકલી દેવામાં આવ્યો. ઇ. સ. ૧૮૩૭.
હમણાં જેલર સા'બ કેમ નથી દેખાતા ?”
“એની મઢ્યમને પેટપીડા ઉપડી છે.”
“શા કારણથી ?"
“બાપડીને છોરૂ આવ્યાનો સમો થીયો છે. પણ આડું આવેલ હોવાથી છૂટકો થાતો નથી. મોટામેટા ગોરા સરજનોએય હાથ ધોઈ નાખ્યા છે, અને મઢ્યમ તો હવે ઘડી બે ઘડીમાં મરવાની થઈ છે.
જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને ચાંપરાજ વાળાને વિચાર ઉપડ્યો. એણે કહ્યું કે
“અરે ભાઈ, એમાં ગોરા સરજનનો ઉપા' કાર નહિ કરે. ઘણું ય મારી આગળ દવા છે, પણ ઈ દવા કોણ કરે ? જેલર સાબને કાને મારી વાતે ય કોણ પોગાડે”
દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠીઆવાડનો એક કેદી આડાં ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબી તો બહુ થઈ. માન્યામાં તો આવ્યું નહિ. પણ ડુબતો માણસ તરણાને યે ઝાલે એ રીતે એણે ચાંપરાજ વાળાને દવા કરવાનું કહ્યું. ચાંપરાજે માગ્યું કે -
“એક તરવાર : એક ઘીનો દીવો : ધુપ: અને એક માળા: ચાર વાનાં લઈને મને નદી કે નવાણને કાંઠે જવા દ્યો.”
માગી તેટલી સામગ્રી આપીને ચાંપરાજને જળાશય કાંઠે તેડી ગયા. નહાઈ ધોઈ, ધોતીયું પહેરી, ઘીનો દીવો ને ધુપ કરી હાથમાં માળા લઈને પ્રભાતને પ્હોર ચાંપરાજે સુરજ સામે હાથ જોડ્યા:
“હે સૂરજ ! મારી પાસે કાંઈ દવા નથી. પણ આજસુધી મેં પરનારી ઉપર મીટ પણ ન માંડી હોવાનો જો તું સાક્ષી હો