આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અથવા તો
ફાંસીએ ચડતાં કંથડજી બોલીઆ,
આમાંથી મુને એકવાર છુટો મેલ્ય બાલુભા ભુજના રાજા !
છેતરીને છેલને નોતો મારવો !
ભોળવીને એનાં માથડાં નોતાં વાઢવાં !
એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઉઠે છે : કે
૧. They hated treachery.
૨. It (Death) is but giving over of a game that
all must lose.
ફરીફરીને એના એ સૂર ગુંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઉઠે છે : મરશીઆના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :
સંધા શેત્રુંજા તણાં, ગ્યાં ગરવે ગ્રીંધાણ,
માંસનો ધ્રવતલ મેરાણ, ગઢવી નાગરવડો ગીયો.
- [શેત્રુંજા ડુંગર ઉપરથી ઉઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં. કેમકે અંહી ગોહિલવાડમાં તો શત્રુઓનુ માંસ ખવરાવી ધરવ કરાવનાર નાગરવ મરી ગયો.]
ટંક ટંક રોતી તેગ પટાળી છુટે પટે,
અણતમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગીયો.
- [કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં, માથાના વાળની ડાબી જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તલવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે. કેમકે દુશ્મનને કદિ ન નમનારો
સ્વામી નાગરવ ગીધડ નામે ભક્ષને દેનારો બહારવટીઓ તો ગયો !)
તોળી જે કરમણ તણા ! વાળા જેવાં વાટ,
થોભા મોરાનો થાટ, નાગરવાડા ! ભાળાં નહિ.
- [હે કરમણના પુત્ર ! તારી તો બહુ રાહ જોઉં છુ, પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નહિ ભાળું. ]