અનેક પ્રકારના અનુભવો મેળવ્યા હતા, છતાં સ્વામીજીના સમાગમમાં
આવ્યો ત્યારથી જ તેણે સંસાર વ્યવહારને ગૌણ સ્થાન આપતા
ચાલી પરમાર્થ સાધનને મુખ્ય સ્થાન આપવા માંડ્યું હતું. આગળ
જતાં સ્વામીજીની જાતની કાળજી પણ તેજ લેવા લાગ્યો. રાતદિવસ
તે કામ કરતો અને સ્વામીજીનાં સઘળાં ભાષણો ઉતારીને વર્તમાનપત્રો
ઉપર મોકલી દેતો. જ્યાં જ્યાં સ્વામીજી જતા ત્યાં ત્યાં તે જતો.
સ્વામીજી તેને “મારો વિશ્વાસુ ગુડવીન” કહેતા. સ્વામીજીની જોડે
તે ઈંગ્લાંડ પણ ગયો હતો અને ત્યાંથી તેમની સાથે જ તે હિંદુસ્તાનમાં
આવ્યો હતો. હિંદુસ્તાનમાં પોતાના ગુરૂનું કાર્ય કરતાં કરતાં જ
તેનો દેહ છૂટી ગયો હતો. તેના મૃત્યુ પછી સ્વામીજી કહેતા કે
“મારો જમણો હાથ ગયો.” એક પાશ્ચાત્ય શિષ્ય સ્વામીજીને કેટલો
બધો ઉપયોગી થઈ રહ્યો હતો તેનો ખ્યાલ તેમના ઉપરના શબ્દોથી
સહજ આવી શકશે. અત્યારે સ્વામીજીનાં જે જે ભાષણો અંગ્રેજીમાં
આપણા વાંચવામાં આવે છે તે સર્વને માટે આપણે ગુડવીનનાજ આભારી
છીએ. તેના વિષયમાં સ્વામીજીએ એકવાર નીચે પ્રમાણે લખ્યું હતું.
“તેના ઉપકારનો બદલો હું કદીએ વાળી શકું તેમ નથી. જે મનુષ્યોને મારા વિચારોથી કંઈ પણ લાભ થયેલો છે તે સર્વેએ જાણવું જોઇએ કે તેમનો શબ્દે શબ્દ મી. ગુડવીનના અથાગ શ્રમ અને નિઃસ્વાર્થ કાર્યથીજ પ્રસિદ્ધિમાં આવેલો છે. તેના મૃત્યુથી મેં એક સાચો મિત્ર અને અસ્ખલિત ભક્તિભાવવાળો શિષ્ય ગુમાવ્યો છે. થાક શી વસ્તુ છે તેનો જેને ખ્યાલ પણ નહિ એવો એક મદદગાર કાર્યકર્તા અને અન્ય મનુષ્યને માટેજ જીવનાર એક વિરલ પુરૂષ જગતમાંથી ચાલ્યો ગયો છે.”
ન્યુયોર્કમાં પીપલ્સ ચર્ચમાં અને બ્રુક્લીનની મેટાફીઝીકલ સોસાયટીમાં મોટી જનસંખ્યા આગળ તેમનાં ભાષણો ચાલુ રહેવા ઉપરાંત