પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩
પોલ ડ્યુસનની મુલાકાત.


“સ્વામીજી કીલમાં આવી વીશીમાં ઉતર્યાની ખબર પ્રોફેસરને મળી કે તરતજ તેમણે એક ચીઠ્ઠી અમારા ઉપર લખી મોકલી. બીજે દિવસે સવારનું ખાણું તેમને ઘેર લેવાનું અમને આમંત્રણ આપ્યું. બીજે દિવસે બરાબર દસ વાગ્યે અમે તેમને ઘેર ગયાં. અમને લાઇબ્રેરીમાં બેસાડવામાં આવ્યાં. પૉલ ડ્યુસન અને તેમનાં પત્નીએ ત્યાં આવી અમને ભારે આવકાર આપ્યો. સ્વામીજીની મુસાફરી તથા તેમની કેટલીક યોજનાઓ વિષે પૂછપરછ કર્યા પછી પ્રોફેસર એક ટેબલ ઉપર પડેલાં કેટલાંક પુસ્તકો તરફ જોવા લાગ્યા અને તરતજ એક પંડિતની માફક પુસ્તકો વિષે વાત કરવા લાગ્યા. એક ઉપનિષદ તેમણે હાથમાં લીધું અને તેમાંથી બે ત્રણ શ્લોક વાંચ્યા. તે શ્લોકો હજી પણ મારી સ્મૃતિ પટ ઉપર તરી આવે છે. હજી પણ તેમાં સમાઈ રહેલાં સત્યોના પડઘા મારા હૃદયમાં અથડાય છે, અને તેમનું રહસ્ય મારા વિચારોને ઉત્તમ માર્ગે દોરે છે. બહુજ ભાવપૂર્વક પ્રોફેસરે કહ્યું કે વેદોનો અભ્યાસ અલૌકિક શાંતિને આપનારો છે. ઉપનિષદોનાં સત્યો ઉપર રચાયલું વેદાન્ત અને શ્રી શંકરાચાર્યની ટીકાવાળાં વેદાન્ત સૂત્રો માનવજાતિના ઉત્તમોત્તમ આધ્યાત્મિક વિચારો અને સત્ય શોધનનાં શ્રેષ્ઠ ફળ છે. વેદાન્તમાંથીજ આ જગતની અતિ ઉચ્ચ અને પવિત્ર નીતિ નીકળી આવેલી છે.

“પ્રોફેસરે વેદાન્તનું તત્વજ્ઞાન એ નામનું પુસ્તક લખીને હિંદુ તત્વજ્ઞાનનો ફેલાવો કરવામાં સહાય કરેલી છે. પ્રાચીન સમયનાં પુસ્તકોમાં ભરાઈ બેઠેલા વેદાન્તનો હવે પુનરોધ્ધાર થવા લાગ્યો છે. આજે તે સર્વત્ર ફેલાવા લાગ્યું છે અને પાશ્ચાત્ય પ્રદેશોમાં ઘણા સહૃદય પુરૂષો તેનો સ્વીકાર કરી રહેલા છે.”

“પ્રોફેસર બોલ્યા: આધ્યાત્મિકતાના મૂળ તરફ જવાની હવે પાશ્ચાત્યોમાં હીલચાલ થવા લાગી છે અને થોડા વખતમાં ભારતવર્ષ