તેમજ અભણ અને યુનીવર્સીટીની પદ્વીવાળાઓ જીદગીના અંતના
દિવસો ગાળવાને આ પવિત્ર સ્થળમાં આવી રહ્યા છે. હિંદુ ધર્મનું
તે મધ્યસ્થળ છે ! તેમાં દેવાલયો એટલાં બધાં છે કે મુસાફરો તેને
“દેવાલયનું શહેર” કહે છે. જુદે જુદે સ્થળેથી આવેલા, જુદા જુદા
વિચારના, પંથના, સંપ્રદાયના, જુદી જુદી ન્યાતના અને જુદી જુદી
જાતના હિંદુઓનું તે કેન્દ્રસ્થાન છે.
દુર્ગાચરણની પત્ની કલકત્તાથી કાશી સુધી પાંચસેં માઇલ ગંગા નદીમાં હોડીમાં બેસીને નવાં શહેરો, નવા દેખાવો, નવા રીતરિવાજો અને નવા મનુષ્યો વગેરે જોતાં જોતાં અને મહાભારતાદિના વાંચનમાં શ્રીરામ અને કૃષ્ણાદિનાં ચરિત્રોના કથનમાં દિવસો ગાળતાં ગાળતાં છ અઠવાડીએ કાશી પહોંચ્યાં હતાં.
તેમણે પોતાના પુત્ર વિશ્વનાથને પણ યાત્રામાં સાથે લીધો હતો. દરરોજ ગંગાનું સ્નાન અને પાન, આરોગ્યપ્રદ હવા, દરરોજનો સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, અજવાળી રાતનો સુંદર ચંદ્રપ્રકાશ અને અંધારી રાત્રિનો અસંખ્ય ચળકતા તારાઓનો અદ્ભુત દેખાવ, નિરજન પ્રદેશની અપૂર્વ શાંતિ અને તે દરમ્યાન માછીઓનાં હલેસાં વાગવાથી થતો અવાજ, માછીઓનાં અને સ્વમાતા તેમજ અન્ય યાત્રીઓનાં રાત્રિ દિવસ આર્દ્ર ધર્મભાવપૂર્વક ચાલ્યા કરતાં ભજન, સ્તવન અને વંદન, આ સર્વની છ અઠવાડીયાંના સતત પ્રવાસ દરમ્યાન દરરોજની જે પ્રબળ અસર બાળક–વિશ્વનાથ-વિવેકાનંદના ભાવી પિતાના મન ઉપર થઈ તે તેમના જીવન પર્યંત રહી હતી.
દિવસો જવા લાગ્યા તેમ તેમ યાત્રાળુઓની હોડી કાશીની નજીક આવવા લાગી. એક દિવસ વિશ્વનાથ હોડીના એક ખુણા ઉપર જઈને રમવા લાગ્યો. ત્યાંનું એક પાટીયું જુંનું હોવાથી તે તૂટી ગયું અને તે નદીમાં પડ્યો. માતાએ તે જોયું અને પોતાને તરતાં નહોતું