પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છઠ્ઠું
ભાસ્કર

હા તૈયાર કરી ભદ્રા જ્યારે કંચનગૌરીને બોલાવવા ચાલી ત્યારે એણે દિયરના બેઠકખાનામાં પ્રવેશ કરતાં સંકોચ અનુભવ્યો. પોતે ગમે તેમ તોય વિધવા હતી, જેઠાણી હતી, ઈશ્વર જાણે દેર દેરાણી કેવીય છૂટથી ભેળાં બેઠાં હોય, ના બૈ ! ના જઇએ. એ ભોંઠા પડે, ને મારું રાંડીરાંડનું ભુષણ શું !'

પણ દેર દેરાણી જ્યાં બેઠા હતાં તે પાછલા બેઠકખાનામાં એક ત્રીજોય અવાજ ઉઠતો હતો. અવાજ અજાણ્યો હતો, તેમાં સત્તાવાહી સ્વરો હતો. અવાજ કહેતો હતો : ' મેં કદી નહોતું ધાર્યું કે તું કંચનને આ રીતે મૂંઝવીશ. નહિતર...'

પછી શબ્દો ત્રુટક બન્યા. પછી પાછા સંધાયા : 'હું હજુય તને કહું છું, કે એને લઇને ચાલ્યો જઇશ.'

માડી રે ! ! ! કોને લઇને !

ભદ્રાનો શ્વાસ ઊંચો ચડ્યો. એને બ્હીક લાગી કે કોઈક જોઈ જશે તો માનશે કે રાંડીરાંડ કોણ જાણે ક્યારૂકની ઊભી ઊભી પારકી ગુપ્ત વાત સાંભળતી હશે !