સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૯. 'જલદી પાછા ફરો'

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૮. પૂનામાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા
જલદી પાછા ફરો
મોહનદાસ કરમચંદ ગાંધી
૧. તોફાનના ભણકારા →


૨૯. 'જલદી પાછા ફરો'

મદ્રાસથી કલકત્તા ગયો. કલકત્તામાં મને મુશ્કેલીઓનો પાર ન રહ્યો. ત્યાં 'ગ્રેટ ઈસ્ટર્ન' હોટેલમાં ઊતર્યો. કોઇને ઓળખુ નહીં. હોટેલમાં 'ડેલી ટેલિગ્રાફ' ના પ્રતિનિધિ મિ. એલર થૉર્પની ઓળખ થઈ. તે રહેતા હતા બંગાળ ક્લબમાં. ત્યાં મને તેમણે નોતર્યો. તે વખતે તેમને ખબર નહોતી કે હોટેલના દીવાનખાનામાં કોઈ હિંદીને ન લઈ જઈ શકાય. પાછળથી તેમણે આ પ્રતિબંધ વિષે જાણ્યુ. તેથી તે મને પોતાની કોટડીમાં લઈ ગયા. હિંદીઓ તરફના સ્થાનિક અંગ્રેજોના આ અણગમાનો તેમને ખેદ થયો. મને દીવાનખાનામાં ન લઈ જવા સારુ માફી માગી.

'બંગાળના દેવ' સુરેન્દ્રનાથ બેનરજીને તો મળવાનું હતું જ. તેમને મળ્યો. હું મળ્યો ત્યારે તેમની આસપાસ બીજા મળનારાઓ હતા. તેમણે કહ્યુ, 'તમારા કામમાં લોકો રસ નહીં લે એવો મને ભય છે. તમે તો જુઓ છો કે અહીં જ કંઈ થોડી વિટંબણાઓ નથી. છતાં તમારે તો બને તે કરવું જ. આ કામમાં તમારે મહારાજાઓની મદદ જોઈશે. બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશનના પ્રતિનિધિઓને મળજો. રાજા સર પ્યારીમોહન મુકરજી અને મહારાજા ટાગોરને મળજો. બંને ઊદાર વૃત્તિના છે ને જાહેર કામમાં ઠીક ભાગ લે છે.' હું આ ગૃહસ્થોને મળ્યો. ત્યાં મારી ચાંચ ન બૂડી. બંનેએ કહ્યું, 'કલકત્તામાં જાહેર સભા કરવી સહેલું કામ નથી. પણ કરવી જ હોય તો ઘણો આધાર સુરેન્દ્રનાથ બેનરજી ઉપર છે.'

મારી મુશ્કેલીઓ વધતી જતી હતી. 'અમૃત બઝાર પત્રિકા'ની ઓફિસે ગયો. ત્યાં પણ જે ગૃહસ્થો મને મળ્યા તેમણે માની લીધેલું કે હું કોઈ ભમતારામ હોવો જોઈએ. 'બંગવાસી' એ તો હદ વાળી. મને એક કલાક સુધી તો બેસાડી જ મૂક્યો. બીજાઓની સાથે અધિપતિસાહેબ વાતો કરતા જાય; તેઓ જતા જાય, પણ પોતે મારી તરફ પણ ન જુએ. એક કલાક રાહ જોઈને મેં મારો પ્રશ્ન છેડયો ત્યારે તેમણે કહ્યુ, 'તમે જોતા નથી અમને કેટલું કામ પડ્યું છે ? તમારા જેવા તો ઘણા અમારે ત્યાં ચાલ્યા આવે છે. તમે વિદાય થાઓ તેમાં જ સારું છે. અમારે તમારી વાત સાંભળવી નથી.' મને ઘડીભર દુ:ખ તો થયું, પણ હું અધિપતિનું દ્રષ્ટિબિંદુ સમજ્યો. 'બંગવાસી' ની ખ્યાતિ તો સાંભળી હતી. અધિપતિને ત્યાં માણસો આવતા હતા તે હું જોઈ શક્યો હતો. તેઓ બધા તેમને ઓળખનારા. તેમનુ છાપું તો ભરપૂર રહેતું હતું. દક્ષિણ આફ્રિકાનું તે વેળા તો નામ પણ માંડ જણાયેલું. નિતનવા માણસો પોતાનાં દુ:ખ ઠલવવા ચાલ્યાં જ આવે. તેમને તો પોતાનુ દુ:ખ મોટામાં મોટો સવાલ હોય. પણ અધિપતિની પાસે તો એવાં દુખિયાં થોકબંધ હોય. બધાંનુ એ બાપડો શું કરે ? વળી દુ:ખીને મન છાપાના અધિપતિની સત્તા એટલે મોટી વાત હોય. અધિપતિ પોતે તો જાણતો હોય કે તેની સત્તા તેની કચેરીના દરવાજાનો ઉંબર પણ ન ઓળંગતી હોય.

હું હાર્યો નહીં. બીજા અધિપતિઓને મળવાનું ચાલું રાખ્યું. મારા રિવાજ મુજબ અંગ્રેજોને પણ મળ્યો. 'સ્ટેટ્સમૅન' અને 'ઈંગ્લિશમૅન' બંને દક્ષિણ આફ્રિકાના સવાલનું મહત્વ જાણતા હતાં. તેમણે લાંબી મુલાકાતો છાપી. 'ઈંગ્લિશમૅન'ના મિ. સૉંડર્સે મને અપનાવ્યો. તેમની ઑફિસ મારે સારુ ખુલ્લી, તેમનું છાપું મારે સારુ ખુલ્લું. પોતાના અગ્રલેખમાં સુધારોવધારો કરવાની પણ મને છૂટ આપી. અમારી વચ્ચે સ્નેહ બંધાયો, એમ કહું તો અતિશયોક્તિ નથી. તેમણે જે મદદ થઈ શકે તે કરવાનું મને વચન આપ્યું. મેં જોયું કે આ વચન તેમણે અક્ષરશ: પાળ્યુ, ને તેમની તબિયત ખરાબ થઈ ત્યાં લગી તેમણે મારી સાથે પત્રવ્યવહાર જારી રાખ્યો. મારી જિંદગીમાં આવા અણધાર્યા મીઠા સંબંધો અનેક બંધાયા છે. મિ. સૉંડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં. તેમણે મારી ઊલટતપાસ કરવામાં કચાશ નહોતી રાખી. તેમાં તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી.

મારો અનુભવ મને કહેછે કે સામા પક્ષને ન્યાય આપી આપણે ન્યાય વહેલો મેળવીએ છીએ.

આમ મને અણધારી મદદ મળવાથી કલકત્તામાં પણ જાહેર સભા ભરવાની આશા બંધાઈ. તેવામાં ડરબનથી તાર મળ્યો : 'પાર્લમેન્ટ જાનેવારીમાં મળશે. જલદી પાછા ફરો.'

આથી એક કાગળ છાપાંઓમાં લખી તુરત ઊપડી જવાની અગત્ય જણાવી મેં કલકત્તા છોડ્યુ, ને પહેલી સ્ટીમરે જવાની ગોઠવણ કરવા દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટને તાર કર્યો. દાદા અબદુલ્લાએ પોતે 'કુરલૅંડ' સ્ટીમર વેચાતી લીધી હતી. તેમાં મને તથા મારા કુટુંબને મફત લઈ જવાનો આગ્રહ ધર્યો. મેં ઉપકાર સહિત તે સ્વીકાર કર્યો અને હું ડિસેમ્બરના આરંભમાં 'કુરલૅંડ'માં મારી ધર્મપત્ની, બે દીકરા, ને મારા સ્વર્ગસ્થ બનેવીના એકના એક દીકરાને લઈને દક્ષિણ આફ્રિકા તરફ બીજી વાર રવાના થયો. આ સ્ટીમરની સાથે જ બીજી સ્ટીમર 'નાદરી' પણ ડરબન રવાના થઈ. તેના એજન્ટ દાદા અબદુલ્લા હતા. બંને સ્ટીમરમાં મળી આઠસેંક હિંદી ઊતારુઓ હશે. તેમાંનો અરધ ઉપરાંત ભાગ ટ્રાન્સવાલ જનારો હતો.