સત્યવીર શ્રદ્ધાનંદ/ધંધાની શોધમાં

વિકિસ્રોતમાંથી
← અજવાળાંનો ઉદય બે દેશ દીપક
ધંધાની શોધમાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
દીક્ષા →



ધંધાની શોધમાં


ભ્યાસ તો મારા કિસ્મતમાં નહોતો. કેમકે વારંવાર હું નાપાસ પડ્યો, દુર્ગુણોમાં ડુબ્યો અને ગૃહસંસારી બન્યો હતો. મારા પિતાની વગથી મને કમીશ્નરે તહસીલદારીમાં મુક્યો. પણ ત્યાં તો મારા મગજની સ્વતંત્રતાને આઘાત દેનારો એક બનાવ બન્યો. અમારી હદમાં ગોરાઓની ફોજનો મુકામ થવાનો હતો ને મારે તેનો બંદોબસ્ત કરવા જવું પડ્યું. વેપારીઓ મારી પાસે રોતા રોતા આવ્યા કે લશ્કરવાળાઓ પૈસા ચૂકવ્યા વગર ઈંડાં લૂંટી ગયા ! મેં જઈને કર્નલને કહી દીધું કે જો આ ગરીબોના પૈસા નહિ ચુકાવો તો હું હમણાં ને હમણાં દુકાનો ઉઠાવી લેવરાવીશ.'

ત્યાં તો કર્નલ ભભૂક્યો “you will do it at your peril; what do you mean by being impertinent ?” [એમ કરીશ તો તું જોખમમાં આવી પડીશ. આટલી બધી ઉદ્ધતાઈને શો સબબ છે ?]

હું પણ ન રહી શક્યો. મે રોકડું સંભળાવ્યું કે 'I am taking away my men, I cannot bear this insult. you may do your worst.' [મારાં માણસોને લઈને હું તો આ ચાલ્યો, તારાં અપમાન મારાથી નહિ સહેવાય, તારાથી થાય તે કરી લેજે !]

આટલું સાંભળતા જ કર્નલ આગળ ધસ્યો. એટલે મેં મારા હાથનો ચાબુક ઉગામ્યો. એ પાછો હટી ગયો. હું ઘોડે ચડી ચાલ્યો આવ્યો. આવીને તહસીલદારને વાત કહી. એના ટાંટીઆ તો ધ્રુજવા લાગ્યા. પણ હું તો અંગ્રેજી રીપોર્ટ લખીને પહેાંચ્યો કલેક્ટર પાસે. જાઉં ત્યાં તો કર્નલ પણ બેઠેલો હતો. કલેક્ટરે મને ધમકી દેવા માંડી. મને ખુરશી પણ ન આપી. મારો રીપોર્ટ વાંચીને મને હુકમ કર્યો કે 'કર્નલની માફી માગ, નહિ તો તારી સામે પગલાં લેવાશે.'

જવાબમાં હું સાહેબને સલામ કરીને ચુપચાપ ચાલી નીકળ્યો. તુરત કમીશ્નર સાહેબનો સ્વાર મને બોલાવવા આવ્યો, મેં જઈને એમને બધી કથની સંભળાવી અને વિનવ્યું કે 'આવી નોકરીથી હું ધરાઈ ગયો. હવે મને રજા આપો.'

કમીશ્નરે કલેક્ટરનો હુકમ રદ કર્યો, મને નિર્દોષ ઠરાવ્યો અને નાખુશી સાથે મારૂં રાજીનામું સ્વીકાર્યું.

બસો રૂપિયા મેં મારા પગારમાંથી બચાવ્યા હતા તે મારી દેવીનાં કડાંના વેચાણની જે રકમની બચત પડી હતી તેમાં ભેળવીને મેં પિતાજીની પાસે ધરી દીધાં, અને કડાં વેચ્યાની તમામ કથની એમને સંભળાવી દીધી. પિતાજી મારા સત્ય પર પ્રસન્ન થઈને બેાલ્યા 'તું તો નાસ્તિક છે ને ! નાસ્તિક તે કદી આવો સાચો હેાય ?'

દેવીનાં કડાં ફરીવાર હતાં તેવાં ને તેવાં કરાવી દઈ હું પત્નીના ઋણથી મુક્ત થયો. અને હવે તો મારા બેાજાની ચિંતાથી પિતાજીને મુકત કરવા માટે હું વ્યવસાય શોધવા લાગ્યો. એક મિત્રની સલાહથી, ઘેરથી રૂ. ૬૦૦ લઈને લાહોર ગયો. ત્યાં દુકાન ખોલી. મિત્ર મેનેજર બન્યા. ખર્ચ પર ખર્ચ તો ચડવા લાગ્યું, પણ વેચાણ ન મળે. મિત્રની શીખવણી હતી કે વિલાયતી દારૂનું લાઈસન્સ લઈએ એટલે દારૂમાંથી સારી પેઠે નફો રહેશે ! દારૂના પરવાના માટે હું ડે. કમીશ્નરને વિનતિપત્ર લખવા બેઠો. પણ લખતાં લખતાં લજજા છુટી. અરજી અડધી લખીને જ ફાડી નાખી દુકાન સંકેલી લીધી. રૂ. ૨૫૦ વધ્યા, મનમાં થયું કે “સસ્તામાં જ છુટ્યો !” ફરીવાર નોકરીના સંકલ્પો જાગ્યા. બબ્બે ત્રણ ત્રણ દિવસે નોકરી માટે અરજી લખીને ફાડી નાખતો, અંગ્રેજ સરકારની નોકરી પરથી ઊઠેલું દિલ કોઈ દેશી રજવાડા તરફ દોડ્યું, પણ ત્યાં તો અંદરથી અવાજ સાંભળ્યો કે 'ત્યાં તો બ્રિટિશ રાજ્યથી યે અધિક ગુલામી છે.'

એ સંકલ્પ છોડી દીધો. મુખતીઆર (વકીલ)ની પરીક્ષા દેવા નિશ્ચય કર્યો, ને પરીક્ષામાં સફળ થયો. ફિ઼લ્લોરમાં વકીલાત આદરી. જેવી રીતે પ્રમાદી બ્રાહ્મણ કોઈ અનિશ્ચિત યજમાનના દાન પર આધાર રાખીને પગ પર પગ ચડાવી બેસે, અને કોઇ દિવસ ભૂખ્યો રહીને તો કદી માલપુવા ખાઈને દિવસ વીતાવે, તેવી જ ગતિ નવા વકીલની પણ થાય છે, તે મેં અનુભવ્યું. કદી બન્ને ખિસ્સાં ભરાય તો વળી ચાર દિવસ હવા ખાવી પડે, પણ મારો સિતારો બુલંદ હતો. પહેલે મહિને ૭૫ ને બીજે ૨૦૦ સુધી રળ્યો. જઈને પિતાજીની પાસે હિસાબ ધરી દીધો. એમણે આશીર્વાદ સાથે કહ્યું કે 'તારી પરીક્ષા થઇ ચુકી. હવે સુખેથી કમા અને સંસાર ચલાવ. મને સંતોષ છે.'

અંધકારની છેલ્લી રાત

પરંતુ પિતાજીનો અંકૂશ અટકી પડ્યો. મેં ફિલ્લોરથી જાલંધર જઈ વકીલાત આદરી. દેવી પિયરમાં હતી. તેથી મને રોકનાર કોઈ ન રહ્યું. હું કુસંગતમાં ઘેરાયો. ફરી મદ્ય પર ચડ્યો. અરે ! અક્કેક સીસા સુધી પહોંચ્યો.

વકીલાતની બીજી પરીક્ષા માટે વ્યાખ્યાનો સાંભળવા હું લાહોર જવાની તૈયારી તો કરી ચુક્યો હતો. પરંતુ મદ્યમાંસ શોખીન મિત્રોના ફાંસલામાં સપડાયો. રોજ સાંજે એકાદ કોઈ મિત્રને ઘેર મુરઘાંનાં ગળાં કપાતાં, ઈંડાં શેકાતાં અને પ્યાલીઓની રેલમછેલ ચાલતી. દરરોજ દિવસભરનો અભ્યાસ એ સાંજની પ્યાલીમાં ઠલવાઈ જવા લાગ્યો. એક દિવસ એક વકીલને ઘેરથી ઢીંચીઢીંચીને રાતે હું પાછો વળ્યો. આવું ત્યાં તો જે મિત્રને ઘેર ઉતરેલો તે પણ સીસો લઈને જ બેઠેલા. બન્ને જણા પ્યાલી પર પ્યાલી ગટગટાવવા લાગ્યા મિત્રને નશો ચડી ગયો એટલે મેં એને વધુ પીતો અટકાવીને સૂવા મોકલ્યો. એ ગયા પછી મેં એક વાર અને જ્યાં બીજી વાર પ્યાલી ભરી ત્યાં બાજુના ખંડમાંથી એક કારમી ચીસ સંભળાઈ. હું અંદર દોડ્યો. જોઉં તો એક યુવાન અબળા મારા રાક્ષસ-મિત્રના પંજામાંથી છૂટવા તરફડે છે ! બે જ મીનીટ હું મોડો પહોંચત તો એનું શિયળ હણાઈ જાત. વિદ્યુતને વેગે મારી દૃષ્ટિ સન્મુખ ધર્મભગિની રાજરાણીની પવિત્ર મૂર્તિ અને મારી ધર્માંગના શિવદેવીની મુખાકૃતિ તરવરવા લાગ્યાં, એ નરાધમ મિત્રના બન્ને હાથ પકડીને મેં એને એના પલંગ પર ધકેલી દીધો, અબળા થરથર કમ્પતી અંદર નાસી ગઈ, ને હું બહાર જઈને બેઠો આખું જીવન-પટ કલ્પનામાં રમવા લાગ્યું. મદ્ય પર ધિક્કાર વછૂTયો. લાગ્યું કે આ એક સીસો ખલ્લાસ કરી સદાને માટે પ્રલોભનથી મુક્ત થઈ જાઉં. એમ વિચારી પ્યાલી ભરી, ત્યાં તો જાણે કોઈનો પડછાયો પડ્યો. અંતઃકરણના પટ પર એ કોણ ઊભું હતું ? કોઈ પ્રભાવશાળી પુરૂષસિંહ ! કેવલ એક કોપીનભર: દેહ પર વિભૂતિ : ને હાથમાં મોટો દંડ ! આછું આછું હસતી અને મારા પર નજર ઠેરવતી એ તેજમૂર્તિના મુખમાંથી ગંભીર નાદ નીકળ્યો 'હજુ યે શું પ્રભુ પર તારો વિશ્વાસ નહિ બેસે ?' એટલું બોલીને એ આકૃતિ અંધકારમાં અલોપ થઈ ગઈ. મેં એને ઓળખ્યા. મહર્ષિજી દયાનંદજીની જ એ આકૃતિ હતી. મદિરાની પ્યાલી ઉઠાવીને મેં જોરથી ઘા કર્યો. સામી દિવાલે પટકાઈને એના ટુકડા થયા. પછી સીસાનો ઘા કર્યો, એના પણ ચુરા થયા. અનુતાપની આગ સળગી ઊઠી. પરંતુ ખોવાઈને મળી આવેલા પોતાના લોથપોથ બાળકને કપાળે કેમ જાણે જગજ્જનીનો કોમલ કર–સ્પર્શ થયો હોય તેવી મધુર નિદ્રા મને આવી ગઈ. બીજા દિવસનું પ્રભાત મારા પરિવર્તનનું પણ રમ્ય પ્રભાત જ બની ગયું. ૧૮૮૮ના ડીસેમ્બરમાં એ અંધાર–રાત્રિનો છેલ્લો પ્રહર ખતમ થયો. ને હું લાહોર ચાલ્યો ગયો.