ઓખાહરણ/કડવું-૩૮

વિકિસ્રોતમાંથી
← કડવું-૩૭ ઓખાહરણ
કડવું-૩૮
પ્રેમાનંદ
કડવું-૩૯ →


કડવું ૩૮મું
ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે
રાગ : કલ્યાણ

ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,
રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. (૧)

હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;
લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. (૨)

લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,
કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા. (૩)

વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,
બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે. (૪)

તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,
ઓખા આવી જુવોને ભરથાર રે. (૫)

બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે;
તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. (૬)

લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એંશી હજાર રે,
એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે. (૭)

એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,
એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. (૮)

એ તો રૂપાળોને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે,
ત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. (૯)

જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે;
અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. (૧૦)

(વલણ)

એમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;
મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે. (૧૧)