આત્મલક્ષમાં નહિ પર આપ, વણ સંતાને કેનો બાપ;
વણ જોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૩૦૯
દંભભક્તિ અંગ
જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;
જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો. ૩૧૦
વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન;
સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ;
અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે. ૩૧૧
નિવૃત્ય પ્રવૃત્ય સમણાંનું ધન, ઉંઘ્યો નર તેનું કરે જતન;
જાગ્યે રૂડું કુડું ટળે, જ્ઞાની તે જે પાછો વળે;
અખા પ્રપંચ નહિ પરમાણ, ઠાલો શું થઇ બેસે જાણ. ૩૧૨
તપતીરથ દેહ દમવાકાજ, જાણી ઉન્મત્ત આવે વાજ;
ફળ સંભળાવી કીધું ખરૂં, પણ હરિ મળવાનું કારણ પરહર્યું;
અખા એ સર્વ મનનો તોર, કોડી વટાવે નાવે મોહોર. ૩૧૩
હરિ જાણી જે તે હરિવડે, મન જનથી જે અળગે પડે;
બીજાં કર્મ મનથી નીપજે, મન સુધે જે તેને ભજે;
અખા તે માટે રૈ ચેત, જ્યાં રહીને નિગમ કહે નેત. ૩૧૪
અખા તેજ નર ચેત્યો ખરો, જે ચાલ્યો માથે ઉફરો;
ઊંઠ હાથમાં સૌ કો રમે, જાગ જોગ એટલામાં ભમે;
મુક્તિ ચતુર્ધા એટલા લગે, પણ પદ રહી જોતાં પડશે વગે. ૩૧૫
અણલિંગી મોટો ઉપદેશ, જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ;
લિંગ ચતુષ્ટયથી પર યથા, જ્યાં ન મળે જક્ત સંબંધી કથા;
અખા એ ત્યાંહાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દ નોહે સમાસ. ૩૧૬
ભક્તિ કરતાં ભરમે બૌ, પણ ભજનભેદ ન જાણે સૌ;
જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ, એમ ભરી પૂરણ રહ્યો રામ;
ત્યાં તો કરતા દીસે ઘાત, તો એમ અખા કેમ ધાતે વાત. ૩૧૭
પેલે ઓળખ્ય હરિ પછે ભજે, કાં વોરે જોયા વિના વજે;
ચૈતન્યબ્રહ્મ કહે વેદ વાણ્ય, તું તો માને પીતળ પાણ;
આતમની અવગણના કરે, અખા ભક્તિ કેમ પડશે વરે. ૩૧૮