લડાઈમાં બખ્તરો વપરાતાં જ નહિ. બખતર તો પોલાદયુગ પછી જ આવ્યાં.’
કંદર્પકુમારની સુકુમાર શારીરિક હાલતને કારણે એના મિત્રો એને ‘મેઈડ ઈન જાપાન’ કહીને હાંસી કરતા. આના ઉત્તર રૂપે કંદર્પકુમારને બદલે તિલ્લુ જવાબ આપતી : ‘જાપાને તો જર્મનીને હંફાવેલું એ ભૂલી ગયા છો.’ આના વળતા ઉત્તરમાં મિત્રો કહેતા : ‘હા, ભાઈ, ઝાંઝા નબળા લોકથી કદી ન કરીએ વેર.’
આ ટોણો તિલોત્તમાને શલ્યની જેમ ખટક્યા કરતો હતો. એ ખટકા સાથે એ બાલ્કનીમાં ઊભી હતી ત્યાં જ એની નજરે એક પૌરુષમૂર્તિ પડી. બાલ્કનીની સામે જ તાણવામાં આવેલી રાવટીમાં જાણે આબેહૂબ ઈન્દ્રનો જ સેનાપતિ બેઠો હોય એવું દૃશ્ય એણે જોયું. ઘરનાં દૂઝણાંનાં સાચાં ઘી–દૂધ ખાઈને ઉછરેલો એ યુવાન હૃષ્ટપુષ્ટ હતો એટલું જ નહિ; એના ચહેરા ઉપર પૌરુષનું સ્વાભાવિક ઓજસ પણ હતું. એનામાં કેવળ ઇન્દ્રના સેનાપતિને લાયક શારીરિક સંપત્તિ જ નહોતી, સેનાની માટે અનિવાર્ય એવું શસ્ત્ર પણ એના હાથમાં શોભતું હતું. એણે જરકસી જામો પહેર્યો હતો. માથા પર છોગાળો સાફો બાંધ્યો હતો. હાથમાં ચાંદીના મ્યાન વડે ચમકતી તલવાર શોભતી હતી.
ખીમચંદ અત્યારે તોરણે આવેલા વરરાજાના પાઠમાં હતો.
તિલ્લુને થયું કે આ તો આજકાલ શ્રીભવનમાં કીડિયારાની પેઠે ઊભરાતા સહસ્ત્રમહાચંડી યજ્ઞ માટે આવેલા અનેક બ્રાહ્મણોમાંનો એક હશે અને દક્ષિણાની લાલચે અહીં બેઠો હશે. પણ આ ગરીબ બ્રાહ્મણ ચંડીયજ્ઞની દક્ષિણા જ લેવાને બદલે દેવોની સેનાનું સેનાનીપદ સ્વીકારે તો ?
આવો વિચાર તિલ્લુના મગજમાં ઝબકી ગયો અને એની આંખ એક મહાન શોધના આનંદથી ચમકી ઉઠી. ‘ઈન્દ્રવિજય’