પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
માણસાઈના દીવા
 

"તો પછી તમે હાજરીમાં જાવ નહિ."

એવી સલાહ આપીને એ સૂતા; પણ એને પાછો વિચાર ઉપડ્યો : 'આ સલાહ ગેરવાજબી હતી. ઉતાવળ થતી હતી. એ માર્ગે આ લોકોનું કલ્યાણ નથી. આ તો બાળકો છે !'

[૨]

સવારે ઊઠીને એણે ચાલવા માંડ્યું. ગામ પછી ગામ વટાવતા ચાલ્યા. એને થાક, તાપ, ટાઢ, ભૂખ, તરસ—કશાનું ભાન નહોતું. વાહનમાં બેસવાનું તો એને નીમ લીધું હતું. પગપાળા એ પહોંચ્યા—સીધા વડોદરે.

વડોદરાના પોલીસ-વડા સાથે એમને નહિ જેવી ઓળખાણ હતી. અમલદાર એક સમજદાર આદમી હતા. જઈને સમજાવ્યા કે, "આ લોકોની હાજરી કાઢી નાખો."

અમલદારે આ લોક-સેવકોની ઉતાવળી રીત પ્રત્યે આછું સ્મિત ફરકાવ્યું, અને પછી કહ્યું : "હું તો એક જ હુકમે સૌની હાજરી કાઢી નાખું તેમ છું; પણ તેનાથી તમને કશો લાભ નહિ થાય."

"ત્યારે ?"

"એવો માર્ગ ગ્રહણ કરો કે જેથી એ લોકો પર તમારો ઉપકાર રહે, ફરી તમારું કહ્યું કરે, અને તમે એમની કનેથી વિશેષ સારાં કામ કરાવી શકો."

"શું કરું તો એમ થાય ?"

"એ લોકોને એમ લાગવું જોઈએ કે તમે જેની હાજરી કઢાવો તેની જ નીકળી શકે છે. તમે એ લોકોમાંથી જેમની ભલામણ કરો તેમની અરજી અમે ધ્યાનમાં લઈએ, એટલે બીજા આપોઆપ તમારી કને આવશે."

એ સલાહ અને એ વચન લઇને બ્રાહ્મણ પાછા વળ્યા : પગપાળા, એક પછી એક ગામ વટાવતા, ટાઢ, તડકા અને થાકનું ભાન ભૂલીને.