“પાંડવોના મન્ત્રી કૃષ્ણ હતા તેવા મન્ત્રી આ રાજ્યના રાજાઓએ
રાખવા અને દૂર દ્વારાવતીમાંથી ઈન્દ્રપ્રસ્થમાં તેડવા. તેમના અશસ્ત્ર
પણ યોગયુક્ત, સારથિત્વનો લોભ રાખવો, અને સટે હૃદયથી પૂજ્યભાવ
રાખવો. અર્જુનના યોગાસન ઉપર બેસનાર રાજાયે એ
આસનનો યોગ, આવા મન્ત્રીસમક્ષ આદરવો અને લક્ષ્યમાં રાખવું કે
सदानुकूलेषु हि कुर्वते रतिं नृपेष्वमात्येषु च सर्वसंपद: રાજાને મન્ત્રી
અનુકૂળ જોઈએ – તે ક્રિયાસનમાં, પણ યોગાસનમાં સંપૂર્ણ અંશે
અને નીતિઆસનમાં સમાન અંશે રાજાએ મન્ત્રીને જ અનુકૂળ થવું.
એ મન્ત્રી પાંડવોનો અને પાંચાલીનો – કૌરવોનો નહી.”
મણિ૦– યોગાસન સામે કુરુક્ષેત્રમાં જવાને માર્ગે જ પ્રધાનજીનું "મન્ત્રાસન” છે.
વિદ્યા૦– હવે આપણે નીતિઆસન ભણી જોઈએ.
ચંદ્ર૦– યોગાસનની વાર્તામાંથી ખસી બીજી વાતમાં જવાનો આગ્રહ પ્રધાનજીનો વિનય કરે એ એમને યોગ્ય છે.
મણિ૦- આપ સત્ય સમજ્યા છો. એટલા માટે મ્હારા જેવા લઘુવક્તાને વિદ્વત્તાના વિસ્તાર બોલવો દુર્ધટ છતાં આ આસનનો ભેદ બતાવવા યત્ન કરવો પડે છે. વધારામાં હવે માત્ર એક બે વાત બાકી છે. ધર્મરાજના ભવનમાં લેખ હતો કે यतो धर्मस्ततो जय:। જો કે એ વાત સત્ય છે તો પણ અતિધર્મ નામના રોગનો ધર્મને પણ ભય છે, ઈશ્વરકૃપા વિના ધર્મને પણ ફળ આવતાં નથી, અને યોગાસન વિના ધર્મનાં રહસ્ય સમજાતાં નથી; માટે રથના દક્ષિણ અશ્વની પાસે લેખ છે તે પ્રમાણે જયનો ઉદ્ધવ કૃષ્ણમાંથી જ છે તેમ બીજો લેખ આ વામ અશ્વની વામ પાસે લટકાવ્યો છે, અને એ લેખોનાં સમાધાન શ્રીકૃષ્ણના હાથમાંની રશનાનાં અને કશાના પડોમાં અનેક યોગરૂપે ગૂઢ રહેલાં છે તે ગીતા આદિમાંથી સમજાય.
દક્ષિણ લેખ વંચાયો:
- यथा तु नारदः प्राह यतः कृष्णास्ततो जयः ॥
- गुणभूतो जयः कृष्णे पृष्ठोऽन्वेति माधवम् ।
- तद्यथा विजयश्वास्य संततिश्चापरे गुणाः॥
વામ લેખ વંચાયો:
- यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततोजयः।