પૃષ્ઠ:Van Vruksho.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક વાર અમે ગાડામાં બેસી એક જગાએથી બીજી જગાએ જતા હતા. ધીમે ધીમે ઊંગતો ચાંદો પૃથ્વી ઉપર અજવાળું અને વાડે ઉગેલી અરણિ ધીમે ધીમે સુવાસ ફેલાવતા હતાં.

અરણિમાં ફૂલ પાંચ પાંખડીનાં, બહારથી ઢાંકણથી ઢંકાયેલ હોય છે. તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે.

અરણિ વિષે આટલી વિગત હું માંડમાંડ જાણું છું તો પછી વિશેષ તમને ક્યાંથી કહું ? એ તો અમે ગામડામાં રહેતા એટલે ઝાડની કંઈક ખબર; બાકી તમે જેઓ શહેરમાં રહેતા હશો તેમણે તો અરણિનું નામ પણ નહિ સાંભળ્યું હોય.

પણ તમારા ઘરમાં કોઈ સંસ્કૃત ભણ્યા હોય તો એમને પૂછશો તો ખબર પડશે કે અરણિને સંસ્કૃત ભાષામાં અગ્નિમંત કહે છે.

અસલના વખતમાં દીવાસળી નહોતી; અને ચકમક પણ કોણ જાણે લોકોને હાથ આવ્યો હોય તો ! એ જૂના વખતના લોકો અરણિના બે લાકડાંને ઘસીને તેમાંથી અગ્નિ પેદા કરતા ! હજી પણ અરણિમાંથી ઉત્પન્ન કરેલો અગ્નિ પવિત્ર મનાય છે. યજ્ઞના કામમાં આરંભ વખતે યજમાન પાસે અરણિનાં લાકડાં ઘસાવી અગ્નિ ઉત્પન્ન કરાવે છે. ખેરના લાકડાંમાંથી પણ અગ્નિ પેદા કરી શકાય છે; એનો અગ્નિ પણ પવિત્ર લેખાય છે. અરણિ, ખેર, ખીજડો, પીપળો, આકડો અને ખાખરો, એના લાકડાંને યજ્ઞકામમાં સમિધરૂપે અગ્નિહોત્રી બ્રાહ્મણો વાપરે છે.