પૃષ્ઠ:Van Vruksho.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વૈદોની ચોપડીમાં જુઓ તો ખબર પડે કે બહેડો કેટલો ઉપયોગી છે. ખૂબખૂબ ખાધાથી માંદા પડીએ એ ચીજો સારી, કે જુદા જુદા રોગોને મટાડે એ ચીજો સારી ?

તમે કહેશો કે રોગોને મટાડે એ ચીજો સારી. પણ હું કહીશ કે ખૂબ ખૂબ ખાઈએ ત્યારે રોગ થાય ને ? રોગ કરે ય નહિ ને મટાડે ય નહિ તે ચીજો શી ખોટી ?

પણ આપણે તો બહેડો કેટલો બધો કામનો છે તેની વાત કરતા હતા. ઉપર તો જરા આડી વાત થઈ ગઈ. કોઈ વાર વાત કરતાં એમ પણ થઈ જાય. લખનાર પણ માણસ છે ને ! આડુંઅવળું ન લખે ?

ત્યારે બહેડાંની દવાઓ સાંભળો. એક તો તમે જાણતા હશો કે આંબળા ને હરડાં સાથે બહેડાંને પલાળી તેનું પાણી આંખે છંટાય. બાકી બહેડું કફ ઉપર કામ આવે, ઉધરસ ઉપર કામ આવે, ઢોરોને વાગ્યું હોય તેના ઉપર આવે; એમ બહુ કામમાં આવે.

એમ ન સમજતા કે આંબળાનો જ મુરબ્બો થાય છે. બહેડાંનો પણ મુરબ્બો થાય છે ને તે આંબળાના મુરબ્બાની પેઠે જ.

માણસો કાંઈ મોળાં નથી. કુદરતની અનેક ચીજોનો તેમણે જાતજાતનો ઉપયોગ કર્યો છે. અને આ ઉપયોગ શોધતા કેટલી બધી વાર લાગી હશે ? ને કેટલા બધા પ્રયોગો કર્યા હશે ? ને કેટલો બધો ગોટાળો થયો હશે ? એ તો હવે ફરી આપણે આંબળાં ને બહેડાં લઈએ ને મુરબ્બા બનાવીએ ને ખાઈએ.

જુના લોકોએ બહુ શોધી રાખ્યું લાગે છે. આપણે તેમનો ઉપકાર માનીએ તો ?