પૃષ્ઠ:Van Vruksho.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ અગ્નિ રાખવામાં આવે છે તે જગ્યાએ પારસી સિવાય બીજાને જવા દેવામાં આવતાં નથી.

આપણા અગ્નિહોત્રીઓ પણ અગ્નિનું એટલું જ માન રાખે છે. અને અગ્નિ છે પણ માનનીય. એ આપણું જીવન છે.

હિંદુ લોકો પોતાના સાધુસંતોને, રાજાઓને અને મહાન પુરુષોને સુખડથી જ બાળે છે. લોકમાન્ય ટિળકને સુખડથી બાળેલા.

મહાત્મા ગાંધીજીને પણ એકલાં ચંદનનાં લાકડાં વડે જ બાળેલા.

બજારમાં સુગંધી તેલવાળાઓ સુખડનું તેલ વેચે છે. એનો ઉપયોગ જાણો છો ? કેટલાએક શોખીન લોકો સુખડનાં તેલનાં પૂમડાં કાનમાં ખોસીને ફરે છે. પણ તે કાંઈ ખરો ઉપયોગ નથી. જેને ખસ થઈ હોય તેઓ જો ચામડી ઉપર સુખડનું તેલ લગાડે તો ફાયદો થાય છે. ઉનાળામાં નાનાં બાળકોને સુખડનું તેલ લગાડવું સારું છે. તમે સમજશો કે સુખડ સુગંધી છે તેમ તેલી પણ છે.

કુદરતની પણ ખૂબી છે કે કોઈ ઝાડનાં લાકડામાંથી તો કોઈ ઝાડનાં ફૂલમાંથી તો કોઈ ઝાડનાં ફળમાંથી તો કોઈની વળી છાલમાંથી તેલ નીકળે છે. કોઈનાં મૂળિયાંમાંથી પણ તેલ નીકળે છે. વિચાર કરો જોઈએ. કયાં કયાં ઝાડો તેલ આપનારાં છે ?