સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૩. મહાપ્રદર્શન

વિકિસ્રોતમાંથી
← ૨૨. નારાયણ હેમચંદ્ર સત્યના પ્રયોગો અથવા આત્મકથા
મહાપ્રદર્શન
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૪. બારિસ્ટર તો થયા—પણ પછી? →


૨૩. મહાપ્રદર્શન

સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિષે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઈચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફીલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એટાવર કેવળનો લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટા ઊંચુ મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણું યે હતું.

મેંપારીસમાં અન્નાહારનું એક મકાન હતું એ વિષે વાચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઈથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો. ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઈડ ને તેનો નક્શો રાખ્યાં હતાં તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્ય વસ્તુઓ જોઈ.

પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઈ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બે ત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું મ્ને સાડા સાત શિલિંગમાં દીવાસળી મેલી.

પારીસના પ્રાચીન દેવળો યાદ રહી ગયાં છે. તેમની ભવ્યતા, તેમની અંદર મળતી શાંતિ ન ભુલય તેવાં છે. નોત્રદામની કારીગરી ને અંદરનું ચિત્રકામ યાદ રહી ગયાં છે. જેમણે લાખો રૂપિયા આવાં સ્વર્ગીય દેવળોમાં નાખ્યા હશે તેમ્,અનામાં ઊંડે ઊંડે ઈશ્વરપ્રેમ તો હશે જ એમ લાગેમું.

પારીસની ફેશનનું, પારીસના સ્વેચ્છાચારનું, તેમના ભ્ગનું ઠીક વાંચ્યું હતું. તે તો શેરીએ શેરીએ જોવામાં આવતું જ હતું. પણ આ દેવળો તે ભોગોથી નોખા તરી આવતાં હતાં. દેવળમાં પેસતાં જ બહારની અશાંતિ ભુલાઈ જાય. લોકોની વર્તણૂક બદલાઈ જાય. લોકો અદબથી વર્તે. ત્યાં ઘોંધાટ હોય નહીં. કુમારિકા મરિયમની મૂર્તિ આગળ કોઈ ને કોઈ પ્[રાર્થના કરતું જ હોય. આ બધો વહેમ નથી પણ હ્રદયની ભાવના છે, એ અસર ત્યારે થઈ ને તે વૃદ્ધિ પામતી ગઈ છે. કુમારિકાની મૂર્તિ સમક્ષ ઘૂંટણે પડીને પ્રાર્થના કરનરા ઉપાસકો આરસના પથ્થરને નહોતા પૂજતા, પણ તેમાં રહેલ્કી તેમની કલ્પનાની શક્તિને પૂજતા હતા. તેથી તેઓ ઈશ્વરનો મહિમા ઓછો નહોતા કરતા પણ વધારતા હતા, એવી અસર મારાઅ મન ઉપર થવાનું ઝાંખુ સ્મરણ મને આજ પણ છે.

એફિલ ટાવર વિષે બે બોલ આવશ્યક છે. એફિલ ટાવર હાલશો અર્થ સારે છે એ હું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિષે વર્ણનો તો વાંચવામાં આવે જ. તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટૉલસ્ટોય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે, તેના જ્ઞાનનુમ્ પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમસ ચડે છે. ને તેથી તે હવાઈ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટૉલસ્ટૉયે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો.

એફિલ ટાવરમાં કશું સૌંદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે, તે જોવાને હકારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું. ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ, એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે એ તેની ઉપયોગિતા ભલે મનાઓ.