પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ને ક્યાં શરીરને પોષવા ખાઈએ છીએ એની ખબર પડી રહેશે.

આ ખબર પડ્યા પછી આપણે દૃઢતા પૂર્વક સ્વાદો ઓછા કરતા જ જઈએ. આ દૃષ્ટિએ વિચાર કરતાં સંયુક્ત પાક જે આસ્વાદવૃત્તિથી થતો હોય તે બહુ મદદગાર છે. ત્યાં આપણે રોજ શું ખાઈશું કે રાંધશું તેનો વિચાર નથી કરવો પડતો; પણ જે તૈયાર થયું હોય ને જે આપણે સારુ ત્યાજ્ય ન હોય તે ઈશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઈ ઊઠીએ. આમ કરનાર સહેજે અસ્વાદવ્રતનું પાલન કરે છે. સંયુક્ત પાક તૈયાર કરનારાં આપણો બોજો હળવો કરે છે, આપણાં વ્રતનાં તે રક્ષક બને છે. સ્વાદ કરાવવાની દૃષ્ઠિથી તે કંઈ તૈયાર નહિ કરે, કેવળ સમાજના શરીરના પોષણને સારુ જ પાક તૈયાર કરશે. ખરું જોતા આદર્શ સ્થિતિમાં અગ્નિનો ખપ ઓછામાં ઓછો અથવા મુદ્દલ નથી. સૂર્યરૂપી મહાગ્નિ જે વસ્તુઓ પકવે છે તેમાંથી જ આપણું ખાધ્ય શોધાવું જોઈએ અને આમ વિચાર કરતાં મનુષ્યપ્રાણી કેવળ ફળાહારી છે એમ સિદ્ધ થાય છે. પણ એટલે ઊંડે અહીં ઊતરવાની આવશ્યકતા નથી. અહીં તો અસ્વાદવ્રત શું છે, તેમાં શી મુશ્કેલીઓ છે ને નથી, તથા તેનો બ્રહ્મચર્યપાલન સાથે કેટલો બધો નિકટ સંબંધ છે તે જ વિચારવાનું હતું. આટલું મનમાં ઠસ્યા પછી સહુ યથાશક્તિ એ વ્રતને પહોંચી વળવાનો શુભ પ્રયત્ન કરે.