પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉપર બતાવી તે બધી બાહ્ય અથવા શારીરિક ચોરી કહીએ. આથી સૂક્ષ્મ અને આત્માને નીચે પાડનારી કે રાખનારી ચોરી તે માનસિક છે. મનથી આપણે કોઈની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે. મોટાં કે બાળક સારી વસ્તુ જોઈ લલચાઈએ તે માનસિક ચોરી છે. ઉપવાસી શરીરથી તો નથી ખાતો, પણ બીજાને ખાતા જોઈ મનથી સ્વાદને સેવે છે તે ચોરી કરે છે, ને પોતાના ઉપવાસનો ભંગ કરે છે. જે ઉપવાસી ઉપવાસ તોડતાં ખાવાના વિચારો ગોઠવ્યા જ કરે છે તે અસ્તેયનો ને ઉપવાસનો ભંગ કરે છે એમ કહી શકાય. અસ્તેયવ્રત પાળનાર ભવિષ્યમાં મેળવવાની વસ્તુના વિચારના વમળમાં નહિ પડે. ઘણી ચોરીઓના મૂળમાં આ એઠી ઇચ્છા રહેલી જોવામાં આવશે. આજે જે વિચારમાત્રમાં રહી છે તે મેળાવવાને આવતી કાલે આપણે સારાનરસા ઉપાયો યોજવા મંડી જઈશું.

અને જેમ વસ્તુની ચોરી થાય છે તેમ વિચારની ચોરી પણ થાય છે. અમુક સારો વિચાર પોતાનામાં ન ઉદ્ભવ્યો હોય છતાં પોતે જ પ્રથમ કર્યો એમ જે અહંકારમાં કહે છે તે વિચારની ચોરી કરે છે. આવી ચોરી ઘણા વિદ્વાનોએ પણ દુનિયાના ઇતિહાસમાં કરી છે ને આજ ચાલ્યા કરે છે. ધારો કે મેં આંધ્રમાં નવી જાતનો રેંટિયો જોયો. એવો રેંટિયોમેં આશ્રમમાં બનાવ્યો ને પછી કહું કે આ તો મારી શોધ છે. આમાં મેં સ્પષ્ટ રીતે બીજાએ કરેલી શોધની ચોરી કરી છે, અસત્ય તો આદર્યું છે જ.

એટકે અસ્તેય વ્રતનું પાલન કરનારે બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે.