પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સગાંવહાલાંનો વિયોગ સહન નથી કરતા. કોઇ કૃપણ આ બધું જતું કરશે, દેહ જતો કરશે, પણ એકઠું કરેલું ધન છોડતાં હેતબાઈ જશે. કોઈ પોતે માનેલી આબરૂ, પ્રતિષ્ઠા સાચવવા અનેક કાળાંધોળાં કરવા તૈયાર થશે ને કરશે. જગતની નિંદા ભયથી કોઈ સીધો માર્ગ જણતા છતાં લેતાં અચકાશે. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલી દીધે જ છૂટકો. હરિશ્ચંદ્રની જેમ પાયમાલ થવાની તેનામાં તૈયારી હોવી જોઈએ. હરિશ્ચંદ્રની કથા ભલે કાલ્પનિક હોય, પણ આત્માર્થીમાત્રનો એ અનુભવ છે; એટલે એ કથાની કિંમત કોઈ ઐતિહાસિક કથા કરતાં અનંતગણી વધારે છે, ને આપણે સહુને સંઘરવા, મનન કરવાયોગ્ય છે.

અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરમ્ભમાં જ ક્હ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઈએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભય માત્ર દેહને લઈને છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. આમ વિચાર કરતાં આપણે જોઈ શકીએ છીએ કે ભયમાત્ર આપણી કલ્પના સૃષ્ટિ છે. પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી, 'મારા'પણું કાઢી નાંખીએ એટલે ભય ક્યાં છે ? तेन त्यक्तेन भुंजीथाः । એ રામબાણ વચન છે. કુટુમ્બ, પૈસો, દેહ જેવાં ને