પૃષ્ઠ:Van Vruksho.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહારાષ્ટ્ર, કર્ણાટક, સહ્યાદ્રિ એ બધાં પણ નાળિયેરીના માહેરઘર છે. માહેરઘર એટલે પિયર. એટલે જ દક્ષિણી લોકોને નાળિયેર બહુ વહાલું હશે.

ટોપરાને દક્ષિણી લોકો શાકભાજીમાં સ્થળે સ્થળે વાપરે છે. ચટણીમાં ટોપરું, દાળમાં ટોપરું, શાક ઉપર ટોપરું, ખીચડી ઉપર ટોપરું. દક્ષિણી રસોઈનો ટોપરું એ શણગાર ને સ્વાદ બંને છે.

કાઠિયાવાડ-ગુજરાતમાં નળિયેરી થોડી એટલે એ લોકોએ નાળિયેર પોતાને બદલે દેવને માટે રાખ્યું : માતા પાસે નાળિયેર મૂકો, શંકર પાસે નાળિયેર વધેરો, મંગલ કલશ ઉપર નાળિયેર મૂકો, રાંદલમાતા નાળિયેરનાં બનાવો.

તોપણ કાઠિયાવાડ-ગુજરાતનાં કોઈ કોઈ રાનોમાં નાળિયેરીઓ થાય છે ખરી.

હુતાશનીમાં ખજૂરટોપરું ખાવાનો કાઠિયાવાડમાં સારો મહિમા છે. કાઠિયાવાડના લોકો છોલાસોતા નાળિયેરમાં અંગૂઠે દબાવી અંદર સોપારી પેસારી દેવાની બળવાન રમત રમે છે. હુતાશનીમાં નાળિયેર ફેંકવાની રમતો ચાલે છે.

યજ્ઞોમાં નાળિયેર હોમવાનો રિવાજ છે. દેવીઓનાં મંદિરે આખાં નાળિયેરનાં તોરણો બંધાય છે. પિતૃ અથવા દેવરૂપે નાળિયેર મૂર્તિ તરીકે મૂકવામાં આવે છે.

નાળિયેર ઉપરનાં છોલાંનાં દોરડાં, કાથી, શીકાં વગેરે બનાવાય છે, ત્યારે કાચલીમાંથી આફ્રિકાના લોકો પ્યાલા અને ચમચા બનાવે છે. આપણા લોકો એના પાણી કાઢવાના ડોયા બનાવે છે.

કાચલીને આખી રાખી આંખ આગળ કાણું પાડી તેને હોકાનું પાણી ભરવાનું વાસણ બનાવવામાં આવે છે. ગુડગુડ થતા હોકાની નીચે જે લંબગોળ