ગીતાધ્વનિ/અધ્યાય ૮
અધ્યાય:8મો યોગીનો દેહ ત્યાગ
અર્જુન બોલ્યા— શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? શું કર્મ, પુરુષોત્તમ? અધિભૂત કહે શાને? શું, વળી, અધિદૈવ છે? 1 અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો? તમને અંતવેળાએ યતિએ કેમ જાણવા? 2
શ્રીભગવાન બોલ્યા-- અક્ષર તે પરબ્રહ્મ, અધ્યાત્મ તો સ્વભાવ જે;
ભૂતો સૌ ઊપજાવે તે વિસર્ગ કર્મ જાણવું. 3
[ક્ષર (વિનાશી) ભાવ તે અધિભૂત, અને જીવભાવ તે અધિદૈવ.] ક્ષર ને જીવના ભાવો અધિભૂતાધિદૈવ તે; અધિયજ્ઞ હું પોતે જ દેહીના દેહમાં અહીં. 4 [“અધિ”નો સાધારણ અર્થ “સંબંધી”, “લગતું”.] મ’ને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે, મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. 5 જે જેયે સ્મરતો ભાવ છોડી જાય શરીરને, તેને તેને જ તે પામે સદા તે ભાવથી ભર્યો. 6 માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ; મનબુદ્ધિ મ’ને અર્પ્યે મ’ને નિ:શંક પામશે. 7 અભ્યાસ યોગમાં યુક્ત મન બીજે ભમે નહીં, અખંડચિંતને પામે પરંપુરુષ દિવ્ય તે. 8
પુરાણ, સર્વજ્ઞ, જગન્નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ સહુના વિધાતા; આદિત્યવર્ણ, તમથીય પાર, અચિંત્યરૂપ સ્મરતો સદા જે. 9
[સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ, આદિત્ય—(સૂર્ય) જેવા વર્ણ(રંગ)વાળા.]
પ્રયાણકાળે સ્થિર ચિત્ત રાખી, લૈ ભક્તિ સાથે બળ યોગનુંયે; ભવાં વચે પ્રાણ સુરીત આણી, યોગી પરંપુરુષ દિવ્ય પામે. 10 જેને કહે ‘અક્ષર’ વેદવેત્તા, જેમાં વિરાગી યતિઓ પ્રવેશે; જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય, કહું તને તે પદ સારરૂપે. 11 રોકીને ઇંદ્રિય દ્વારો, રૂંધીને હ્રદયે મન,
સ્થાપીને તાળવે પ્રાણ, રાખીને યોગ-ધારણા; 12 ૐ,ૐ,ૐ, એકાક્ષરી બ્રહ્મ ઉચ્ચારી સ્મરતો મ’ને, જે જાય દેહને છોડી, તે પામે છે પરંગતિ. 13 સતત એક ચિત્તે જે સદા સંભારતો મ’ને, તે નિત્ય-યુક્ત યોગીને સે’જે હું પ્રાપ્ત થાઉં છું. 14 મ’ને પોં’ચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિધ્હિને, વિનાશી, દુ:ખનું ધામ, પુનર્જન્મ ધરે નહીં. 15
બ્રહ્માના લોક પર્યંત આવાગમન સર્વને;
પરંતુ મુજને પામી પુનર્જન્મ રહે નહીં. 16 હજાર યુગનો દા’ડો, હજાર યુગની નિશા; બ્રહ્માના દિનરાત્રીના વિદ્વાનો એમ જાણતા. 17 અવ્યક્તથી બધી વ્યક્તિ નીકળે દિન ઊગતાં; રાત્રી થતાં ફરી પામે તે જ અવ્યક્તમાં લય. 18 તે જ આ ભૂતનો સંઘ ઊઠી ઊઠી મટી જતો, પરાધીનપણે રાત્રે; નીકળે દિન ઊગતાં. 19 તે અવ્યક્ત થકી ઊંચો બીજો અવ્યક્ત ભાવ છે; તે શાશ્વત નહીં નાશે, ભૂતો સૌ નાશ પામતાં. 20 કહ્યો અક્ષર, અવ્યક્ત, કહી તેને પરંગતિ; જે પામ્યે ન ફરે ફેરા,-- તે મારું ધામ છે પરં. 21 પરં પુરુષ તે પ્રાપ્ત થાય અનન્ય ભક્તિથી— જેના વિષે રહે ભૂતો, જેનો વિસ્તાર આ બધો. 22 જે કાળે છોડતાં દેહ યોગી પાછા ફરે નહીં; જે કાળે ફરે પાછા, તે કાળ કહું છું હવે. 23 અગ્નિજ્યોતે, દિને, શુક્લે, છ માસે ઉત્તરાયણે,
તેમાં જે બ્રહ્મવેત્તાઓ જાય તે બ્રહ્મ પામતા. 24
[જ્યોતિ—જ્વાળા છતે.] ધુમાડે, રાત્રીએ, કૃષ્ણે, છ માસે દક્ષિણાયને, તેમાં યોગી ફરે પાછો પામીને ચંદ્રજ્યોતિને. 25 [જ્યોતિ—તેજોમય લોક.] શુક્લ-કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન; એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી. 26 આવા બે માર્ગ જાણે તે યોગી મોહે પડે નહીં; તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે. 27
વેદો તણાં, યજ્ઞ-તપો તણાંયે, દાનો તણાં પુણ્ય ફળો કહ્યાં જે; તે સર્વ આ ગ્યાન વડે વટાવી, યોગી લહે આદિ મહાન ધામ. 28
[અન્વય—“ તે સર્વ આ ” (=આ સર્વ બ્રહ્મ છે, એ) જ્ઞાન વડે વટાવી અથવા –તે સર્વ(વેદ, યજ્ઞ, તપ ઇ0 આ(બે માર્ગોના) જ્ઞાન વડે વટાવી.]