જાગને જાદવા

વિકિસ્રોતમાંથી
જાગને જાદવા
નરસિંહ મહેતા
પ્રભાતિયું


જાગ્યને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે ? જા.

દહિતણાં દૈથરાં, ઘીતણાં ઘેવરાં, કઢિયલ દૂધ તે કુણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ લેશે ? જા.

જમુનાજીના તીરે ગૌધણ ચરાવતાં, મધુરીસી મોરલી કુણ વા’શે ?
ભણે મહેતો નરસૈંયો, તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કોણ સહાશે ? જા.



અન્ય સંસ્કરણ

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ સહાશે ? … જાગને

જમુનાજીના તીરે ગૌધણ ચારતા
મધુરીશી મોરલી કોણ વા'શે ?
ભણે મહેતો નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝવે
બૂડતાં બાંવડી કોણ સહાશે ? … જાગને