દીન દયાળુ ગુરુ દેવ

વિકિસ્રોતમાંથી
દીન દયાળુ ગુરુ દેવ
નિષ્કુળાનંદ

રાગ - કેદારો



દીન દયાળુ ગુરુ દેવ

પદ - ૧


દીન દયાળુ ગુરુ દેવ દામોદર, કૃપાનિધિ કૃષ્ણ કહાવે;
 કરુણા દૃષ્ટિ કરી જનને જુવે હરિ, દાસના દોષ હરિ હૈયે ન લાવે —દીન૦ ૧

 કોટિ અપરાધ તે જનના કાપવા, આપવા આનંદ હરિ હૈયે હીસે;
 કૈક કંગાલને તારવા નાથજી, આજ મહારાજની મરજી દીસે—દીન૦ ૨

 અખિલ બ્રહ્માંડના અધમ ઉદ્ધારવા, પૂરણ પરબ્રહ્મે પણ લીધું;
 પતિત એકે કોયે નરકમાં નવ પળે, આજ અલબેલડે એમ કીધું—દીન૦ ૩

 મન કર્મ વચને સત્ય કરી માનજો, અસત્ય મિથ્યા અમે શીદ ભાખ્યું;
 નિષ્કુળાનંદ હરિ નિત્ય ઊઠી ચિંતવે, આવે અધમ કોયે શરણ રાખ્યું—દીન૦ ૪

પદ - ૨


ટેવ પડી તમને અધમ ઉદ્ધારવા, એહ વિના બીજું કાંઈ ન સૂઝે;
 અખંડ અવતાર તે અધમ ઉદ્ધારવા, એહ મર્મને કોઈ સંત બૂઝે—ટેવ૦ ૧

 નરતનુ ધારી એવું ના’વડે નાથજી, કોઈ જીવનું અકાજ કરતા;
 ભાવે કભાવે કોઈ તમને ચિંતવે, તેહનાં પાપ તમે તર્ત હરતા—ટેવ૦ ૨

 જેમ રવિના ઘરમાં રજની નવ મળે, તો આરાધ્યે અંધારું ક્યાંથી આપે;
 જાણે અજાણે જેમ અમૃતપાનથી, જનમ મરણ અંગે નવ વ્યાપે—ટેવ૦ ૩

 પોતાના ગુણ તે કોઈ નવ પરહરે, જેહમાં જેહવો ગુણ રહ્યો;
 નિષ્કુળાનંદ નર તન ધરી નાથજી, અધમ ઉદ્ધારણ એવો ગુણ ગ્રહ્યો—ટેવ૦ ૪

પદ - ૩

પતિત પાવન પ્રભુ બિરુદ સુણી સદા, માહેરું મન તે ધીરજ પામ્યું;
 કોટિ અપરાધ તે ક્ષમા કરો ક્ષણમાં જે જને આવીને શીશ નામ્યું

 જયંત જેવો કોઈ પાપી નવ પેખીયે, સીતાચરણે ચંચુપ્રહાર કીધી;
 અપરાધ એવો કરી લોક ચૌદ આવ્યો ફરી, દયા કરી તેને દિવ્ય દૃષ્ટિ દીધી.

 અધમ આપે અહલ્યા શલ્યા આપે થઈ, ગૌતમ ગૃહિણી જગ જાણે;
 તમારા પદરજથી સદ્ય શ્રાપ ટળી, મળ્યો દેવ દેહ તેહ ટાણે.

 એવા અધમ તો અનેક ઉદ્ધારિયા, તારિયા ભવજળ જશ લીધા;
 નિષ્કુળાનંદે એવા બિરુદને જોઈને, સદા મુદા જો મનમાંહિ કીધો.

પદ - ૪


આજ મહારાજ મળી જોડ જોયા સરખી, હું રે પતિતપાવન તમે;
 તમે ગુણવંત ગુણના ભંડાર છો, તો અનેક અવગુણે પૂરણ અમે.

 તમે દયાળુ કૃપાળ અકળ છો, તો મારી દુષ્ટતાને કોણ કળશે;
 અધમ ઉદ્ધાર તમે નામ કાવો નાથજી, તો અધમ મુજ નામે આંક વળશે.

 તમે નિષ્કલંક નિર્વિકારી નાથજી, તો કલંક વિકાર મુમાં કોટિ કાવે
 જો તમારી ભલાઈનો પાર નથી આવતો, તો મારી ભૂંડાઈનો અંત નાવે.

 પોતે પોતાને ગુણે સહુ પૂરણ છે, જે કોઈમાં જેવો ગુણ રહ્યો;
 નિષ્કુળાનંદના અવગુણ અપાર છે, તેમ તમારો ગુણ કેમ જાયે કહ્યો.