નાયક વિનાની નવલકથા

વિકિસ્રોતમાંથી
વ્યાજનો વારસ
ચુનીલાલ મડિયા
૧૯૬૪





નાયક વિનાની નવલકથા


ઉમાશંકર જોશી


આભાશાએ વ્યાજવટાવથી પાંચ પૈસા ભેગા કર્યા છે, પણ વારસની મોટી ખોટ છે. ત્યાં મોટી ઉંમરે દીકરો જન્મે છે. પણ રિખવ મોટો થતાં વિલાસિતાને ભોગે ચઢી જાય છે અને સિંધી બાઈ એમી - જેનાથી એને ગુલુ કરીને દીકરો પેદા થયો છે તે - ના ગામથી પાછા વળતાં કપાઈ મરે છે. આભાશાને વારસ માટે એમની પત્ની માનવંતી પોતાની બહેન નંદન સાથે પરણાવે છે. પણ તે બિનવારસી જ, પોતાના દીકરાને વારસો આપવાની લોભિયણ બહેન અમરતના હાથના તોલો અફીણથી, મૃત્યુશરણ થાય છે. અમરત સત્તાનાં સૂત્રેા હાથ કરવા નંદનને પેટે 'ત્રણ ત્રાંસળી' બંધાવવાની યોજના કરી, એને બાળક છે એમ જાહેર કરી, કૂબાના વગડાઉ લોકો પાસેથી ખરીદી લાવીને વારસની સ્થાપના કરે છે. આ પદમશેઠ પણ પાંચ વરસનો થઈ વિરોધીને હાથે કમોતે મરે છે. અમરત ગાંડી થઈ જાય છે. અમરતનો મિત્ર અને આભાશાનો મુનીમ ચતરભજ ભીખ માગતો થઈ જાય છે. આખો વારસો રિખવની પત્ની - મિલનની કહેલી રાતે જ પતિના મદ્યશોખને વશ ન થવાથી એની સાથે આંટી પડતાં તરછોડાયેલી અને આજીવન ધર્મ અને કલામાં રમમાણ રહેનારી સાધ્વી – સુલેખાના હાથમાં જ પડે છે. એમી અને એનો બાપ – આભાશાનો પાડોશી – દુખિયારો લાખિયાર સુલેખાને આશ્રયે પડ્યાં છે, ત્યાં ખોવાઈ ગયેલો એમીનો ગુલુ મોટો મહંત બનીને આવી પહોંચે છે. સુલેખા વારસના ધનમાંથી ઊભા કરેલા અન્નક્ષેત્રનો ભાર એને સોંપે છે, સાચા 'અધિકારી'ને ચરણે બધું નિવેદિત થતું જોઈ એની ચરિતાર્થતા અનુભવે છે. આ આખી સૃષ્ટિના સમભાવી સાક્ષી પરમ કારુણિક વિમલસૂરીજીના આશીર્વાદ આગળ કથા અટકે છે. ચિત્તમાં શમી જતી સૃષ્ટિના રંગોમાં, કલાધારી સુલેખાએ આદરેલા આત્માના અજરઅમર અંશના ચિત્ર 'સુરૂપકુમાર'ની આપણને અલપઝલપ ઝાંખી થઈ જાય છે.

નવલકથામાં નાયક ને નાયિકાની પાછળ ભમનાર વાચક તો પુસ્તકને, સત્તરમે પ્રકરણે રિખવશેઠના મૃત્યુ સાથે, બાજુ પર મૂકી દેશે. નાયિકા સુલેખા છેક સુધી જીવે છે, પણ આખી કથામાં માંડ બે વાર નાયકની સાથે એ જોવા મળે છે. કથાની ખરી નાયિકા તો છે લક્ષ્મી, વ્યાજનો પૈસો – વગર પરિશ્રમનો – પૈસામાંથી ઉપજતો પૈસો, એટલે એને સોળે કળાએ ખીલેલી લક્ષ્મી કહીએ તો ચાલે ! અને નાયક ? એની જ તો વાત છે !

એક બાજુથી જોઈએ તો લક્ષ્મી પોતાનો રક્ષક-ભોક્તા ગમે તે રીતે મેળવવા કરતી હોય છે એની મથામણ સર્વત્ર નજરે પડે છે. આભાશા, રિખવ, પદમશેઠ એ એના અહીં કાયદેસરના માલિકો છે, એમની માલિકી ડગમગે છે ત્યારે અને અમરત અને ચતરભજ પોતપોતાના દીકરાઓને એ પદ અપાવવા તલસે છે, પણ લક્ષ્મી કોઈ પ્રભાવશાળી રક્ષક મેળવવા નિષ્ફળ નીવડે છે. દૃઢ મનોબળવાળી વ્યક્તિઓ છે તે લક્ષ્મીની માલિકીના મોહમાં ફસાઈ તેના ગુલામ બનવા તૈયાર નથી (દા. ત. સુલેખા, છોટા મહંત, વિમલસૂરીજી.) છેવટે લક્ષ્મી જ્યાંથી પોતે ઉત્પન્ન થઈ હતી તે જનતાની સહસ્ત્રકમળપાંદડીમાં સમાઈ જાય છે – એને ઉજ્જ્વળતા અર્પી રહે છે. આમ બીજે છેડેથી જોઈએ છીએ તો લક્ષ્મી અમુક વ્યક્તિને લલચાવે છે, પોતાને ચાળે ચઢાવે છે. પણ ક્યારેક જતાં જનતાની સેવામાં કૃતાર્થ થયા વગર એના જીવને જંપ નથી. નારાયણના – આપણે ઇતિહાસ વિલોકીશું તે દેખાશે કે દરિદ્રનારાયણ - થાક્યા પાક્યા પગ તળાંસવામાં એના મનને જે તૃપ્તિ છે એ બીજે ક્યાંય નથી. અર્થશાસ્ત્રકાર કૌટિલ્યભગવાને યોગ્ય રીતે જ એની નીતિને અલબ્ધલાભાર્થા ન મેળવેલું મેળવવા માટેની લબ્ધપરિરક્ષણી મેળવેલું બચાવનારી, રક્ષિતવિવર્દ્ધની બચાવેલામાં વધારો કરનારી,એમ કહીને છેવટે વૃદ્ધસ્ય તીર્થાષુ પ્રતિપાદનીય વધારેલા ધનને તીર્થરૂપી અત્પુરુષો કે સંસ્થાઓને સોંપવામાં રાચનારી વર્ણવી છે. એટલે કે લક્ષ્મીને સાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એકમાત્ર સમાજ કરી શકે એમ છે. 'વ્યાજનો વારસ' હિંદીઓના લોહીમાં યુગોથી રમતી આ ભાવનાને મૂર્ત કરી આપે છે. એનો નાયક છે આપણાં ગામડાંનો ગરીબ સમાજ જેનું સૌભાગ્ય કથાની વ્યક્તિઓની અંગત વ્યથાઓ, અને વેદનાને અંતે પણ ખીલી ઊઠતું જોવા મળે છે – એ નાનુંસૂનું આશ્વાસન નથી.

કથા, આ રીતે, શાન્ત રસની છે, છેક અન્તભાગમાં પણ સુલેખા રિખવની એની સ્મૃતિઓમાંથી 'સુરૂપકુમાર' સર્જવા બેઠી છે એ દર્શાવે છે તેમ, શૃંગાર આદિ રસોના ઊર્ધ્વીકરણે સિદ્ધ થયેલો આ શાન્ત રસ છે. કર્તા પ્રસ્તાવનામાં કહે છે તેમ કથાની ભૂમિકા તરીકે થોડા દાયકા પહેલાંનો સમય લીધો છે, એથી વ્યકિતગત જીવનસાધના, અને તે પ્રાચીન ધર્મભાવનાને અનુસાર, નિરૂપવી શક્ય બની છે, છેક અત્યારે સમય લીધો હોત તોય 'વ્યાજનો વારસ કોણ?'નો જવાબ તો સમાજ, એમ જ મળત. પણ એનાં નિરૂપણની પદ્ધતિ નોખી રહેત.

આપણા રૂઢિગ્રસ્ત સમાજજીવનનાં અનેક પડનું અવલોકન લેખક સૂસૂક્ષ્મતા અને સમભાવથી કરી શક્યા છે. આ કથા લેખકના અનેકવિધ અનુભવની પ્રતીતિ કરાવે છે. ચિત્રો ઉઠાવવાની શક્તિ ઊંચા પ્રકારની છે. ભાષાના રૂઢિપ્રયોગો (Idioms) ઉપર એમની લેખણીનો અસાધારણ કાબૂ છે. પ્રાદેશિક પ્રયોગો યથાસ્થાને શોભે છે. ઉર્દૂ અને ખાસ તો મી'ગોળા ગામની તળાવડીએ એમીએ સાંભળેલા લોકગીતોના ટુકડા યોગ્ય રીતે ઉતારાયા છે. પાત્રાલેખન અને કથાગૂંથણીમાં લેખકની હથોટી સારી દેખાય છે પણ શરૂઆતનાં ચાળીસ પૃષ્ઠમાં રિખવ જન્મીને 'હૈયાહોળી' પ્રગટાવે એવડો મોટો થઈ જાય છે એ બધા સમય દરમિયાન આભાશાનું પાત્ર (જાણે કે ઉંમર પણ) સ્થિર લાગે છે, અને અમરત પોતાના ભાઈને મારી નાખે છે એ પ્રસંગ વર્ણવાયો છે કુનેહપૂર્વક પણ અનિવાર્ય અને તેથી પ્રતીતિકર લાગતો નથી. અમરત અને ચતરભજ 'ભોરિંગે ભોરિંગના લબકારા' પણ વધુ પડતા લાંબા અને વારંવાર ચાલે છે. સત્તાપ્રિય પતિવિહોણી સ્ત્રી અને સત્તાની ચાવી ધરાવતો સેવક એ બે પાત્રોની નિર્જીવ પ્રણય-પટાલકડી ગુજરાતને ફ્રેંચ કથાકારની કૃપાથી શ્રી મનુશીનાં મીનળ—મુંજાલ આદિ દ્વારા હવે તો ખૂબ પરિચિત છે. છતાં ચતરભજના ઓધિયા પાસેથી 'કૂંચી ને કિત્તો હેઠો' મેલાવી દેતી અમરતનું ચિત્ર કર્તાની કલમને જેબ આપે એવું છે. અને એવું આખું પ્રકરણ છે 'બાળા, બોલ દે!'નું ફ્રેંચ કથા શિલ્પી ફૂલૉબેરની નાયિકા માદમ બોવારી અને તેના પ્રેમી વચ્ચે, મેળામાં હરાજી બોલાતી આવી છે. એની જાહેરાતોની વચ્ચેવચ્ચે, પ્રણયોદ્‌ગારોની આપલે થાય છે એ કળાની યાદ; અહીં ભવાઈની વાતની વચ્ચે વચ્ચે પદમશેઠના ખૂનની વાત જે રીતે કહેવામાં આવી છે તે ઉપરથી, આવી જાય છે. પણ સરખામણી જવા દઈએ, પોતાના વાર્તાસંગ્રહ 'ઘૂઘવતાં પૂર'નું ચેખોવ-છોગું લઈને ફરતા આ જુવાન લેખક જ એમની વાર્તાસૃષ્ટિની ભાષામાં કહીએ તો, નજરાઈ ગયા હતા ને? ઇચ્છીએ આ નવલકથા જે સમૃદ્ધ સર્જકતાનો પરિચય કરાવે છે તેને ઉત્તરોત્તર વધુ સારો લાભ ગુજરાતને મળ્યા કરે

[સંસ્કૃતિ, જુલાઈ ૧૯૪૭]