પાર્થને કહો…

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

<poem> પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ; કહો, કુંતાની છે એ આણ: પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી, કીધાં સુજનનાં કર્મ; આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ: સજીવન થાય પડ્યાયે પ્હાણ; પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે, રાજસભાના બોલ : રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ: પાર્થની પ્રત્યંચાને વાણ: પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ ! યુગપલટાના પદ પડછન્દે ગજવો ઘોર ત્રિકાળ: સજો શિર વીર ! હવે શિરત્રાણ: પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નીરખશે રણરમતો મુજ વંશ; સત શીલ ને ધર્મયજ્ઞમાં હજો વિશ્વવિધ્વંસ; ઊગે જો ! નભ નવયુગનો ભાણ: પાર્થને કહો ચડાવે બાણ;

વિધિનાં એ જ મહાનિર્માણ: પાર્થને કહો ચડાવે બાણ.