પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કાઢ્યા કરે છે. સુમાલ્ય છે, તેના નામથી તમને યોગ્ય લાગે તે વ્યવસ્થા કરો. હું મારા પિતા પ્રમાણે રાજ્યભારને શિરપર ઉતારીને અરણ્યમાં વાસ કરવાને ગએલો છું, એમ સમજો! એમ અનેક વાર કહેવા છતાં પણ એ માનતો નથી, તેનો શો ઉપાય કરવો?” રાજાએ પોતાનો કંટાળો જાહેર કર્યો.

“આર્યપુત્ર! માત્ર મારા જ માટે આપનાં રાજ્યકાર્યો બગડે અથવા તો મારામાં લુબ્ધ થવાથી આપ રાજ્યનાં કાર્યોમાં જોઈએ તેવું ધ્યાન આપતા નથી, એવી પ્રજાજનોની માનીનતા થાય, એ મને તો સારું લાગતું નથી. જો એમની એ માનીનતા એવી જ રીતે વધતી જશે, તો પછી પ્રજા પણ મારો દ્વેષ કરવા માંડશે. હાલમાં તો અમાત્ય જેવા થોડા જ પુરુષો મારો દ્વેષ કરનારા હશે; પરંતુ મોટાં મોટાં રાજકારણો ઉપસ્થિત થાય અને અમાત્ય મળવાની માગણી કરે - તેનો ૫ણ આ૫ અસ્વીકાર કરો, એટલે પછી બધાના મનમાં ખોટા વિચારો બંધાય જ તો. માટે મારી એટલી જ વિનતિ છે કે, અમાત્યને એક વાર અહીં અવશ્ય બોલાવીને તેની શી પ્રાર્થના છે, તે આપે સાંભળી લેવી.” મુરાદેવીએ કહ્યું.

“વાતમાં માલ જેવું તો કાંઈ પણ હશે નહિ અને જો મહત્ત્વની વાત હોત, તો શું પત્રદ્વારા તે વાત તે મને જણાવી ન શકત ? રહેવા દેને હું તેને લખું છું કે,........."

રાજા કાંઈક વધારે બોલવા જતા હતા, એટલામાં તેને વચમાં જ અટકાવીને મુરાદેવી બોલી કે, “ના-ના-આર્યપુત્ર ! આપ એમ કરશો જ નહિ. આ૫ની અમાત્યને મળવાની ઇચ્છા ન હોય, તો પણ હું વિનવું છું કે, આપ તેને મળવા માટે બોલાવો અને શાંતિથી તેનું જે કહેવું હોય તે સાંભળી લ્યો. જો કોઈ મહત્ત્વનું કાર્ય હોય તો તેમાં અવશ્ય આપે લક્ષ આપવું જ જોઈએ. આપ રાજ્યકાર્યમાં બિલ્કુલ ભાગ નથી લેતા, એવી જો કોઈ પરકીય રાજને જાણ થાય, તો ખરેખર જ કોઈ અજ્ઞેય સંકટ આવી પડે. એમાં અસંભવિત હોય એવું કાંઈ પણ નથી. અર્થાત્ ભલે અહીં રહીને પણ આપે અમાત્યને વારંવાર બોલાવીને રાજ્યકાર્યમાં ભાગ તો લેવો જ જોઈએ. મારી આગ્રહપૂર્વક એટલી જ વિનતિ છે કે, માત્ર આપે અહીંથી ક્યાંય બીજે સ્થળે જવું નહિ; - કારણ કે, મને આપના જીવનની ઘણી જ ચિન્તા થયા કરે છે. આપના અને મારા બહાર ઘણા શત્રુ છે – અપૂપ આવ્યા તે વેળાએ શું થયું હતું, તે તો આપે પ્રત્યક્ષ જોએલું જ છે, માટે જ આ વિનતિ કરવાનું હું સાહસ કરું છું. હું ઘણી જ સાવધ અને કોઈના કાવત્રામાં ન આવું એવી હોવાથી, આપને