પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય…

ન્હાનાલાલ

બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય,
તો તે છે જનની કે જગજ્જનની.
શરીર સમર્પી શરીર ઘડે,
આત્મા સમર્પી આત્મા સરજે,
હૈયાના અમૃત ઠાલવી ઠાલવી,
અમરોને ઉછંગમાં ઉછેરે,
એ મહાનુભાવ માતાની મોટપ.
દેહનાં કે દેહીનાં સૌન્દર્ય સામર્થ્ય.
નથી કેવળ નિજના ઉપભોગાર્થે,
માનવવેલના ફૂલન ને શોભન કાજે છે;
કો’ ઉદારચરિત માતૃજીવનનો સદબોધ.
વર્તમાનને તીરે ઉભી ભવિષ્ય રચતી,
મન્વન્તરોને સાંકળતી, માતાઓ
છે સૃષ્ટિવિકાસની સહાયક મહાદેવીઓ.
પૂજ્ય છે પવિત્ર છે, પાવનકારિણી છે.
સ્રષ્ટા સરિખડી વન્દનીય છે.
માનવગંગાની અખસ્ત્રાવી તે ગંગોત્રીઓ.