પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯. વીલ કર્યું


તા. ૨૩-૧૨-૯૦
નડીયાદ
 

આશરે સાત મહીને આમાં કાંઈક લખું છું. પ્રથમ ઘર સંબંધી. પિતાનું વર્ષ તથા વૃષોત્સર્ગાદિ પરવાર્યો છું. ઘરમાં બહુ સારૂં ચાલે છે. મારો ભાઈ બહુ સુધારા ઉપર છે, ને તે આ વખત ચોથા ધોરણમાં પાસ થવાની આશા ન હતી છતાં વર્ગ ચઢી શક્યો છે. છોકરામાં મહોટે છોકરે આજથી એક માસ પર બહુ નઠારી ભુલ કરી કે ઘરમાં કશા પ્રકારનું કારણ ન છતાં, સ્વતઃ શાન્તિથી નિશાળે જવા નીકળ્યો ત્યાંથી એને મોસાળ જઈને બેઠો ! !લાગતાવળગતાઓએ જાણ્યાથી તરત પાછો આણ્યો, ને યોગ્ય શિક્ષા કરી મેં તેને સમજાવ્યો. ગયેલા દાગીનાના સંબંધે બાળાશંકરે કાંઈ કર્યું નથી, ને મેં હવે તેના જેવા લુચ્ચા માણસને એ બાબત કહેવી પણ મૂકી દીધી છે - મંગળીઆ પર દીવાની કોર્ટમાં રૂ. ૧૦OO)નો દાવો કર્યો છે – છોકરાંને જનોઈ દેવાનો વિચાર આવતા વૈશાખ (મે)માં ઠર્યો છે. તેમને ક્યાં પરણાવવા? નાતમાં તો અવતરની ખપે એટલી પણ આશા નથી. બાયડમાંથી કહેણ આવે છે ને એક ઠેકાણે મારા ભાઈ તથા મહોટા દીકરાને યોગ્ય કન્યા જોઈ રાખી છે ત્યાં કરીશ. નાતની દરકાર કરી બાપના કુવામાં બુડી મરવાનો મારો વિચાર નથી.

પેલી વેશ્યાના સંબંધમાં હું કાંઈ લક્ષ રાખતો નથી. છતાં તેણે હવે તો ઉઘાડે છોગે એક માધવલાલ રણછોડ નામના લુચ્ચા સાથે ઘર માંડ્યું છે. ખુશાલભાઈ હરીભાઈની પડોશમાં જ તે લુચ્ચો છે એટલે તેઓ તથા તેમની સ્ત્રી રોજ બધું દેખે છે. દા. રામસિંગ પણ એકવાર એ લુચ્ચાના બોલાવ્યાથી તેની કાંઈ દવા કરવા ગયા હતા તો તેની ઘરધણીઆણી પેઠે તે વેશ્યા તેની સારવાર કરતી હતી. નાતમાં પણ લોકો બહુ નારાજ થયા છે. રાંધી આપવાથી માંડીને તે આખી રાત સુઈ રહેવા પર્યત વ્યવહાર ચાલે