પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ખેડૂતનો અભિપ્રાય લેવામાં નથી આવતો, એને કહેવામાં આવે છે કે આટલું તારે આપવું પડશે, તને પરવડે તો ભર નહિ તો જમીન છોડ. પણ સને ૧૮પ૬ માં કોર્ટ ઓફ ડિરેક્ટર્સે એક ખરીતો બહાર પાડ્યો હતો તેમાં જાહેર કર્યું હતું કે જમીનમહેસૂલ એ ભાડુ નથી પણ ‘કર’ છે. સર ચાર્લ્સ વૂડ અને લૉર્ડ લિટને પણ એ વસ્તુ સ્વીકારી હતી. બેડન પૉવેલ નામનો લેખક, જેણે ગયા સૈકાની આખરમાં પોતાનું જમીનની આકારબંધી સંબંધી પુસ્તક લખ્યું હતું તેણે પણ કહ્યું છે કે જમીનમહેસૂલ એ જમીનની આવક ઉપર એક પ્રકારનો કર છે, પણ હવે એ ‘કર’ છે કે ‘ભાડુ’ એ ચર્ચા કરવી નિરર્થક છે. નિરર્થક છેસ્તો ! કારણ સરકાર એ મહત્ત્વના ભેદની અવગણના કરી, જમીનની માલિક થઈ પડી છે, અને એ ચર્ચાને નિરર્થક કરી મૂકી છે. નહિ તો એ ચર્ચા અતિશય મહત્ત્વની છે, કારણ જમીનમહેસૂલના કાયદાની આકરામાં આકરી કલમો, ખેડૂતથી જમીનમહેસૂલ ન ભરી શકાય તો ખેડૂતની હજારગણી કિંમતની જમીન ખાલસા કરવાનો સરકારને અધિકાર આપનારી રાક્ષસી કલમો, સરકારે માની લીધેલા માલિકીહકમાંથી ઉત્પન્ન થયેલી છે. આજે તો એટલે ૧૯૨૪ ના માર્ચમાં, સરકારના જમીનમહેસૂલખાતાનો પ્રધાન (રેવન્યુ મેંબર) બેધડક રીતે કહે છે કે જમીન સરકારની જ છે, એમાંથી પુષ્કળ આવક થાય છે અને એ આવકથી જ વહીવટ ચાલે છે. એટલે ગમે તેમ થાય તોપણ એ આવક છોડાય નહિ. આ ઉચાપતનીતિમાંથી જમીનમહેસૂલના પ્રશ્નની અટપટી ગૂંચો ઊભી થઈ છે, એનો જ આશરો લઈને સરકારે વર્ષોનાં વર્ષો થયાં ખેડૂતોને રંજાડ્યા છે, તેમની દાદ ફરિયાદ સાંભળવાને દીવાની કોર્ટને હક રહ્યો નથી, અને ધારાસભાને પણ સરકારના ઠરાવમાં હાથ ઘાલવાનો હક નથી.

આ નીતિને પરિણામે, ખેડૂતને જમીનમહેસૂલમાં દખલ કરવાનો કશો અધિકાર નથી એ સિદ્ધાન્તને પરિણામે, જ્યાંજ્યાં જમીનમહેસૂલની કાયમની જમાબંધી થઈ નથી ત્યાંત્યાં જમીનમહેસૂલ

ઉત્તરોત્તર વધતું જ ગયું છે. ૧૮૬૨ માં લૉર્ડ કૅનિંગે

૧૦