પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલીમાં શું બન્યું ? – સરકારપક્ષ
 


સેટલમેન્ટ કમિશનર સાહેબને મોકલવામાં આવ્યો હતો, અને ગણોત, વેચાણ વગેરે વિષેના કેટલાક ફકરાઓમાં તેમણે સૂચવેલા સુધારા કરીને તે પાછો તેમના ઉપર પાસ થવા માટે મોકલવામાં આવ્યો હતો. હવે એ પાસ થઈને આવ્યો છે અને તે શિરસ્તા મુજબ સરકારને મોકલવામાં આવે છે.” આ તેમણે સુરતના કલેક્ટર તરીકે લખેલું. સેટલમેન્ટ ઑફિસરનો રિપોર્ટ સામાન્ય રીતે કલેક્ટર મારફતે સરકારને મોકલવામાં આવે છે. કલેક્ટર તેના ઉપર શેરો કરે છે, અને સેટલમેન્ટ કમિશનરને રવાના કરે છે. શ્રી. જ્યકરનો રિપોર્ટ કલેક્ટરનો શેરો મેળવવા ભાગ્યશાળી નહિ થયો, કારણ તે વેળા શ્રી. જયકર પોતે જ કામચલાઉ કલેક્ટર થયા હતા. પણ સરકારી ઠરાવની ભાષામાં, “અગાઉ સૂરતના કલેક્ટર તરીકે કામ કરેલું એવા સેટલમેન્ટ કમિશનરે એને ઝીણવટથી તપાસ્યો અને લગભગ આખો રિપોર્ટ ફરી લખી કાઢ્યો છે.” એટલે આપણે જે રિપોર્ટ શ્રી. જયકરના રિપોર્ટ તરીકે જોઈએ છીએ તે તેમનો મૂળ રિપોર્ટ નથી પણ સેટલમેન્ટ કમિશનર મિ. ઍંડર્સને ‘લગભગ આખો ફરી લખી કાઢેલો’ રિપોર્ટ છે. મૂળ નમૂનો કેવો હશે એ ભગવાન જાણે. પણ, સંભવ છે કે ગણોત વેચાણવાળા ફકરાઓ શ્રી. જયકરના હોવાને બદલે આખા મિ. ઍંડર્સનના લખેલા હોય.

પણ આપણે શ્રી. જયકરના રિપોર્ટમાં બારડોલી વિષે શી ભલામણ કરવામાં આવી તે ઉપર આવીએ. શ્રી. જયકરે આખા તાલુકામાં ચાલતા મહેસૂલના દરમાં પચીસ ટકા વધારો સૂચવ્યો, પણ ૨૩ ગામોને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચડાવવામાં આવ્યાં એટલે પરિણામે એ ગામોના ઉપર ઉપલા વર્ગના વધારે મહેસૂલનો અને મહેસૂલના વધારેલા દરનો એમ બેવડો માર પડ્યો, અને આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. મૂળ મહેસૂલ રૂા. ૫,૧૪,૭૬૨ હતું તેને બદલે તે રૂા. ૬,૭૨,૨૭૩ કરવાની ભલામણ થઈ. આ ભલામણનાં કારણો તેમણે નીચે પ્રમાણે જણાવ્યાં હતાં :

૧. ગયા રિવિઝન પછી ટાપ્ટી વેલી રેલ્વે નવી ખોલવામાં આવી અને તાલુકામાં અનેક પાકા નવા રસ્તાઓ થયા છે.

૧૭