પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯ મું
ખુમારીના પાઠ
 


બીજી તરફ સરકારના અમલદારો પણ પોતાના કામમાં આગળ વધ્યા જાય છે. બેડકૂવા નામના ગામમાં તલાટીએ એક રાનીપરજ ખેડૂતને મુક્કાપાટુ મારીને પૈસા કઢાવ્યા. મોટા અમલદારો વધારે કુશળતાભરેલી રીતો વાપરવા લાગ્યા. એક ગામના શેઠને પોતાને મુકામે બોલાવી જુવાન ડેપ્યુટી કલેક્ટર કહે છે :

‘મારા માનની ખાતર તો કંઈ આપો. કાંઈ નહિ તો એક રૂપિયો આપો.’

ડોસા કહે : ‘ના સાહેબ, તમારે માટે માન તો ઘણું છે પણ શું કરીએ ? ગામમાં રહેવું ખરુંને !’

‘પણ તમને જેલમાં પૂરું તો ?’

‘શા સારુ ? મેં શો ગુનો કીધો છે ? મેં કંઈ રાજદ્રોહ તો નથી કર્યો.’

એટલે ડોસાને સતાવ્યા બદલ અમલદારસાહેબ સભ્યતાથી માફી માગે છે, અને ડોસાને રજા આપે છે. કોઈ ઠેકાણે ઊંધુંચતું સમજાવવાની પ્રપંચજાળ પથરાય છે, તો કોઈ ઠેકાણે વાણિયાઓ મારફતે ગરીબ રાનીપરજના પૈસા ભરાવી દેવડાવવામાં આવે છે.

પણ લોકો આ પ્રપંચ સામે ઠીક ટક્કર ઝીલી રહ્યા છે. પોચા કહેવાતા વાણિયા પણ સરકારી અમલદારોને જડબાતોડ જવાબ વાળે છે, અને બુજરગ ડોસાઓને પણ લડતનો રંગ ચઢતો જાય છે. એક ગામે અમે સાંજે સભા પૂરી કરીને બેઠા હતા, ત્યાં તો બે ડોસાઓ ગાડીમાંથી ઊતરીને વલ્લભભાઈ પાસે આવ્યા. આવીને કહે : ‘કાલે ખબર સાંભળી કે આપનું ભાષણ આ ગામે છે. આજે સાંજ પડી ગઈ પણ તકદીરમાં મળવાનું એટલે તમે જાઓ તે પહેલાં અમે પહોંચી ગયા.’ શ્રી. વલ્લભભાઈએ પૂછ્યું : ‘કેમ જોર છે ને ?’ એટલે ડોસા કહે : ‘અમારું તો જેટલું તેજ પહોંચે તેટલું અજવાળું રહેવાનું. પણ હવે તમારા જેવા ગુરુ મળ્યા એટલે અમારો ભો ભાંગી ગયો. આટલું જોર અમારામાં નહોતું તે હવે તમે પડખે ઊભા એટલે આવ્યું. હવે સરકારને મનમાં આવે તે કરે. જે ડગી જાય તેને અમે તો નાતબહાર મૂકશું.’

૬૩