પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

રાજદ્વારે સંન્યાસી



પોતે જ લખી ગયા છે –

'લાંબા કાળથી હું જેલની વાટ જોતો હતો. રૌલટ બિલ વડી ધારાસભામાં રજૂ થયું અને સમસ્ત હિંદમાં હીલચાલ મચી ગઈ. ગુરૂકુલના એક સ્નાતકને આશીર્વાદ આપીને મેં દિલ્હીમાં 'વિજય' નામનું દૈનિક પત્ર શરૂ કરાવ્યું. એમાં ત્રણ મુખ્ય લેખ ક્રમાનુસાર નીકળ્યા. એનું મથાળું હતું 'અમારી છાતી પર પિસ્તોલ.' એ લેખોએ પ્રાંતેપ્રાંતમાં ધૂમ મચાવી. દિલ્હીમાં એની એટલી માંગ વધી કે સાત હજાર પ્રતો છાપવા પછી પણ સેંકડો ઉત્સુક મનુષ્યો નિરાશ બની પાછા ગયા.*[૧] ઉર્દુ રાણીના પાટનગર દિલ્હીમાં હિન્દી દૈનિકની આટલી ખપત ! દરેક આર્ય નારીને 'વિજય' એટલું વહાલું હતું કે, રાયબહાદુરની પત્નીઓ પણ પતિ 'વિજય'નો તાજો અંક હાથમાં લઈને ઘેર ન આવે તો ઘરમાં પગ મૂકવા ન દેતી.

'આંદોલન તો પ્રચંડ બન્યું. એ જ સમયે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહની ઘોષણા કરી, હું એ આંદોલનમાં કઈ રીતે શામિલ થયો એની કથા કેટલીયે વાર બહાર આવી ગઈ છે. મારા પરમ મિત્ર સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેના મુખ્ય શિષ્ય મિસ્ટર શ્રીનિવાસ શાસ્ત્રી (મિસ્ટર અને શાસ્ત્રી એ બેનો મેળ મળતો નથી પણ એમને તો એ જ મંજૂર છે.) ને હું પં. માલવિયાજીની પ્રેરણાથી મળવા ગયો. મારા


  1. * આજે આપણને સાત હજાર પ્રત તો મામૂલી લાગે છે.