પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ધનો

પ્રથમ પહેલાં પુજા તમારી

રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !

ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે. – રામબાણ o

મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું,
પત્ની –પુત્ર બેઉ તાણે. – રામબાણ o

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે. – રામબાણ o

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે. – રામબાણ o