પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હરિજન હોય તેણે...


હરિજન હોય તેણે હેત ઘણું રાખવું,
નિજ નામ ગ્રાહી નિર્માત રહેવું;
ત્રિવિધના તાપ તે જાપ જરણા કરી,
પરહરિ પાપ રામનામ લેવું.

સૌને સરસ કહેવું, પોતાને નરસ થવું,
આપ આધિન થઈ દાન દેવું.
મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી,
દાતા ભોક્તા હરિ એમ રહેવું.

અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું,
ખોલવી ગૂજ તે પાત્ર ખોળી;
દીન વચન દાખવું, ગંભીર મતું રાખવું,
વિવેકીને વાત નવ કરવી પહોળી.

અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું,
રાખવી ભક્તિ તે રાંક દાવે,
ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી
ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.