પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧

દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય,
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ દૃશ્ય! ૬૨

જેના અનુભવ દૃશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન,
તે તેથી જુદા વિના થાય ન કેમેં ભાન. ૬૩

જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય,
ઊપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪

જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય,
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫

કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય,
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬

ક્રોધાદી તરતમ્યતા, સર્પાદિકની માંય,
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭

આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય,
બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮

અથવા જ્ઞાન ક્ષણીકનું, જે જાણી વદનાર,
વદનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૬૯

ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ,
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦

કર્ત્તા જીવ ન કર્મનો, કર્મજ કર્ત્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧

આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨

માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્ત્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩