પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા પીસતાલીસમી.


દીવા નીચે અંધારૂં.


એક દિવસે શાહ અને બીરબલ કીલ્લાના બુરજ પર બેસી હવા ખાતા હતા. તે વખતે બુરજની નીચે એક શાહુકારને સાત ચોરો લુંટી લેતા હતા, એટલામાં તેઓની ઉપર શાહની નજર પડી, શાહ અને શાહુકારની એક નજર થતાં શાહુકારે કહ્યું કે, 'આપની નજર સમક્ષ મને ચોર લુંટી મોજની સાથે ચાલ્યા જાય છે, છતાં આપ કંઈ કરી શકતા નથી ?' શેઠનું આવું બોલવું સાંભળી શાહે આંખ ચઢાવીને બીરબલને કહ્યું કે, 'આવોજ મારા રાજમાં બંદોબસ્ત રાખ્યો છે કે ? આને માટે હું જ્યારે તને પુછું છું ત્યારે તું કહે છે કે દરેક સ્થળે શાંતી અને આબાદી છે. પરંતુ એ તદન વાતો ખોટી હતી એમ મારી હવણા ખાત્રી થઈ છે, કે મારી નજર સમક્ષ ચોરોએ એક શાહુકારને લુંટી લીધો છે એ શું તારો બંદોબસ્ત ?' બીરબલે કહ્યું કે, સરકાર ! એતો દીવાના નીચે અંધારૂંજ હોય છે, એમ આખું જગત જાણે છે. ત્યારે આપ કીલ્લા ઉપર પ્રતાપી કુળદીપક શહેનશાહ પ્રકાશી રહ્યા છો માટે કીલ્લા નીચે અંધેર હોય તેમાં નવાઈ શી ? માટે આપ વિચારો કે આસપાસ જરા પણ અંધારૂં છે ?' આવી અપુર્વ યુક્તીનું વાક્ય સાંભળી શાહ ઘણો ખુશી થયો.