પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
નળાખ્યાન

કાલે અર્જુન આવશે રાયજી, કરીને ઉત્તમ કાજજી;
કથા સાંભળી પાયે લાગ્યો, મુનિવરને મહારાજજી.
યુધિષ્ઠિર કહે પરિતાપ ગયો મનનો, સાંભળી સાધુચરિત્રજી;
અવિચળ વાણી ઋષિ તમારી, સુણી હું થયો પવિત્રજી.
થોડે દિવસે અર્જુન આવ્યા, રીજ્યા ધર્મરાજાનજી;
વૈશંપાયન કહે જનમેજય, પૂર્ણ થયું આખ્યાનજી.
કરકોટક ને નળ દમયંતી, સુદેવ ઋતુપર્ણ રાયજી;
એ પાંચેનાં નામ લેતાં, કળજુગ ત્યાંથી જાયજી.
પુત પૌત્ર ધન ધાન્ય સમૃધ્ધિ, પામે વઈ નર નારજી;
બ્રહ્મહત્યાદિક પાપ ટલે ને, ઉતરે ભવજળ પારજી.
વીરક્ષેત્ર વડોદરા કહાવે, ગરવો દેશ ગુજરાતજી;
કૃષ્ણસુત કવિ ભટ પ્રેમાનંદ, વાડવ ચોવીસા ન્યાતજી;
ગુરુપ્રતાપે પદબંધ કીધો, કાલાવાલા ભાખીજી;
આરણ્યક પર્વની મૂળ કથામાં, નૈષધ લીલા દાખીજી.
મુહૂર્ત કીધું સુરતમાંહે, થયું પૂર્ણ નંદરબારજી;
કથા એ નળ દમયંતી કેરી, સારમાંહે સારજી.
સંવત સત્તર બેતાળો વર્ષે, પોષ સુદિ ગુરુવારજી;
દ્વિતીયા ચંદ્ર દર્શનની વેળા, થઇ કથા પૂર્ણ વિસ્તારજી.
તે દિવસે પરિપૂરણ કીધો, ગ્રંથ પુનિત પદબંધજી;
શ્રોતા વક્તા સહુને થાશે, શ્રીહરિકેરો સંબંધજી.





નળાખ્યાન સંપૂર્ણ.