પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રાસ્તાવિક

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સત્યાગ્રહની લડત આઠ વર્ષ ચાલી. 'સત્યાગ્રહ' શબ્દ તે લડતને અંગે શોધાયો ને યોજાયો. એ લડતનો ઇતિહાસ મારે હાથે લખાય એમ હું ઘણા વખત થયાં ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ એ તો લડાઈનો ચલાવનાર જ જાણી શકે. અને મોટા પાયા ઉપર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે એ સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ લોકો જાણે, એ ગમે તે પ્રસંગે આવશ્યક ગણાય.

પણ આ વેળા તો હિંદુસ્તાનમાં સત્યાગ્રહનું વિશાળ ક્ષેત્ર છે. વિરમગામની જકાતની નાનીસરખી લડતથી તેનો અનિવાર્ય ક્રમ શરૂ થયો છે.

વિરમગામની જકાતની લડતમાં નિમિત્ત વઢવાણનો સાધુચરિત પરગજુ દરજી મોતીલાલ હતો. વિલાયતથી આવેલો ૧૯૧૫ની સાલમાં હું કાઠિયાવાડ જતો હતો. ત્રીજા વર્ગમાં હતો. વઢવાણ સ્ટેશને આ દરજી પોતાની નાનીશી ટુકડી લઈને આવ્યો હતો. તેણે વિરમગામની થોડી વાત કરી મને કહ્યું:

'આ દુ:ખનો ઈલાજ કરો. કાઠિયાવાડમાં જન્મ લીધો છે એ સફળ કરો.' તેની અાંખમાં દૃઢતા ને કરુણા બંને હતાં.

મેં પૂછયું : 'તમે જેલ જવા તૈયાર છો ?'

તુરત જવાબ મળ્યો : 'અમે ફાંસી જવા તૈયાર છીએ.'

હું : 'મને જેલ જ બસ છે, પણ જોજો વિશ્વાસઘાત ન થાય.'

મોતીલાલ બોલ્યો : 'એ તો અનુભવે ખબર પડશે.'

હું રાજકોટ પહોંચ્યો, વધારે વિગતો મેળવી, સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. બગસરા વગેરેનાં ભાષણોમાં વિરમગામની જકાત વિશે સત્યાગ્રહ કરવો પડે તો કરવા તૈયાર રહેવાની સૂચના કરી. એ ભાષણ સરકારી દફતરે તેની વફાદાર છૂપી પોલીસે પહોંચાડ્યું, પહોંચાડનારે સરકારની સેવા કરી ને કોમની પણ અજાણતાં સેવા કરી. છેવટે