પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે–


બીજું પણ માગું ? કાઠિયાવાડમાં દારૂના પીઠાં કેમ સાંખી શકાય ? આપને વળી દારૂમાંથી કંઈ ઊપજની ગરજ હોય ? લોકો જ્યારે દારૂ છોડવા ને છોડાવવાનો પ્રયત્ન કરે ત્યારે તો હું આપના દરબારમાંથી પણ દારૂની બાટલીઓના બહિષ્કારની આશા રાખું. રામે જો ધોબીની વાત સાંભળી સતી સીતાનો ત્યાગ કર્યો, તો શું પ્રજાની ઇચ્છા જાણી આપ દારુને કાઠિયાવા઼ડમાંથી ન કાઢો ?

અને આપની ટ્રેનોમાં હરિજનને નોખા ડબ્બા મળે, હરિજનને ટિકિટો મળતાં અડચણ આવે, તેઓને ધક્કા વાગે, એ કેમ સંખાય ? રેયતને બોલાવી આપ મસલત કરો, ને ઢેડ આદિ વર્ણ ઉપર અત્યાચાર થાય છે તે દયાધર્મ નથી પણ અત્યાચાર છે એ સમજાવી, આપ તે ગરીબોને સુખી કરીને તેમની આંતરડીની દુવા લો.

બીજું તો ઘણું સાંભળ્યું છે, તે કથા અત્યારે ઉખેળવા નથી ઇચ્છતો, તે જૂની વાતો છે. અત્યારે ચાલતા શુદ્ધ પ્રાણવાયુની ગતિ ન રોકો એટલું જ વીનવવા મેં આ પત્રિકા લખી છે, જે પ્રેમભાવથી મેં લખ્યું છે તેને ઓળખો ને પ્રેમપૂર્વક વાંચી મારી દીન સૂચનાઓ અમલમાં મૂકો એમ માગું છું. ઈશ્વર આપને ન્યાયવૃત્તિ આપો ને કાઠિયાવાડનાં રાજાપ્રજા નીતિને રસ્તે ચાલતાં સુખી રહો એમ પ્રાર્થના કરું છું.

લખનૌ
૧ લો શ્રાવણી સોમવાર
નવજીવન, ૧૪–૮–૧૯૨૧

આપનો વફાદાર સેવક
મોહનદાસ કરમચંદ ગાંધી