પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
દેશી રાજ્યો

સખતાઈ ન વાપરે. અને તેથી જ પ્રજાકીય છાપાંઓ જરૂર પડ્યે આકરી ભાષામાં પણ કેટલાંક દેશી રાજ્યોની રૈયતનાં દુઃખોને વિષે ટીકા કરતાં અચકાતાં નથી.

દાખલા તરીકે, બિકાનેર રાજ્યમાં શેઠ જમનાલાલજી અને તેમના મંડળ પ્રત્યે, તેઓ મજકૂર રાજ્યની હદમાં કેવળ સ્વદેશીની પ્રવૃત્તિ કરી રહ્યા હતા તે દરમ્યાન, ચલાવવામાં આવેલા તદ્દન અવિચારી અને નિર્લજ્જ વર્તનને વિષે છાપાંઓમાં વાજબીપણે આકરી ટીકાઓ આવી છે. આમ ઉદાર ધોરણવાળાં દેશી રાજ્યોને તો મહાસભા તરફથી દરેક જાતનું ઉત્તેજન મળવાપણું જ છે; જ્યારે પ્રતિગામી ધોરણનાં રાજ્યોને બહુ બહુ તો પોતાના ધેારણની અને પોતાનાં પગલાંઓની આકરી ટીકા સાંભળવી પડવાની. વળી મહાસભા દેશી રાજ્યોની દયામણી સ્થિતિથી પણ અજાણ ન જ હોય. સલ્તનતે પોતાની દુનિયાને ચૂસવાની બાજીમાં તેમને સોગઠાંની પેરે વાપર્યાં છે; વળી તેમની ઉપર વખતોવખત જે ગેરકાયદે અને નીચ દબાણો ચાલે છે તેની સામે થવાને તે સૌથી ઓછાં સમર્થ છે. તેથી તેમણે સમજવું જોઈએ કે પ્રજાસામર્થ્યનો વધારો એ તેટલે અંશે એમની પોતાની ઉપરની ને ઉપર વર્ણવેલી નામોશીભરી અસરનો ઘટાડો છે.

નવજીવન, ૨૦–૧૧–૧૯૨૧