પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૧
રાજકોટની લડત

રાજકોટની લડત વિષે મારે એક રીતે અંગત નાતો કહેવાય. રાજકોટમાં જ મૅટ્રિક સુધીની મારી બધી કેળવણી થઈ, અને મારા પિતા વર્ષો સુધી ત્યાં દીવાન હતા. કસ્તુરબાઈને તો ત્યાંના લોકો પર જે વીતી રહી છે એનું એટલું બધું લાગી આવે છે કે, જોકે એની અત્યારે મારા જેટલી જ વૃદ્ધાવસ્થા છે અને જેલજીવનની હાડમારી વેઠવાને તે મારા કરતાં ઘણી વધારે અશક્ત છે છતાં, તેને લાગે છે કે તેણે રાજકોટ જવું જ જોઈએ. અને આ લખાણ છપાશે તે અગાઉ કદાચ તે ત્યાં પહોંચી ગઈ હશે.

પણ હું આ લડતને ત્રાહિત દૃષ્ટિએ વિચારવા માગું છું. આ લડતને અંગે સરદારે પ્રગટ કરેલું નિવેદન એક કાયદેસરનો દસ્તાવેજ કહેવાય. એમાં એક શબ્દ નકામો કે અસંદિગ્ધ, લેખી પુરાવાના આધાર વગર, લખાયો નથી.

એ દસ્તાવેજો રાજકોટના રાજ્યકર્તા અને તેમની પ્રજા વચ્ચે થયેલા પવિત્ર કોલકરારના ટાઢે કાળજે કરવામાં આવેલા ભંગનો પુરાવો રજૂ કરે છે. અને એ વચનભંગ ત્યાંના બ્રિટિશ રેસિડેન્ટની પ્રેરણાથી અને આજ્ઞાથી કરવામાં આવ્યો છે. આ રેસિડેન્ટ હોદ્દાથી વાઈસરૉય જોડે સીધો સંકળાયેલ છે.