પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
ગાંધીજીનો અક્ષરદેહ

રીતે ઈન્ડિયન બ્રિટિશ રૈયત તરફ વર્તાય તો તેવી જ રીતે બીજી બ્રિટિશ રૈયત જેવા કે દેશીઓ સાથે પણ વર્તવું જોઈએ. દ્વેષ ઉપજાવે એવા મુકાબલા કર્યા વિના ૧૮૫૭ના રાણીના ઢંઢેરામાંથી ફકરા ટાંકવાની અરજદાર રજા માગી લે છે. તે ફકરા બતાવશે કે હિંદુસ્તાની બ્રિટિશ રૈયત તરફ કેવી જાતની વર્તણૂક ચાલી છે ને ચાલવી જોઈએ :

જે ફરજ અમારી બીજી રૈયત તરફ છે તેમ ફરજથી અમે અમારા હિંદુસ્તાની મુલકના દેશીઓ તરફ વર્તવાને બંધાઈએ છીએ અને તે ફરજ અમે ઈશ્વરકૃપાથી બરાબર ને અંત:કરણપૂર્વક અદા કરવાનાં છીએ.
વળી, અમારી એવી ઇચ્છા છે કે અમારી ગમે તે નાતજાતની રૈયત પોતાની અક્કલ-

હોશિયારીથી ને વફાદારીથી જેવી નોકરીની ફરજ બજાવવાને લાયક હોય તેવી નોકરીમાં તેને નિષ્પક્ષપાતપણે છૂટથી દાખલ કરી શકાય. તેઓની આબાદીમાં અમારું જોર છે, તેઓના સંતોષથી અમારી સહીસલામતી છે અને તેઓનો આભાર એ અમને બદલો છે.

૧૧. ઉપરના ફકરા અને ૧૮૩૩ના ચાર્ટરના ધોરણ ઉપર હિંદુસ્તાનમાં બહુ જવાબદારીની જેવી કે ચીફ જજની જગ્યાએ ઇન્ડિયનને નીમવામાં આવે છે તેમ છતાં અહીં બ્રિટિશ કૉલોનીમાં એક સાધારણ શહેરીનો સાધારણ હક તે આપના અરજદાર કે તેના ભાઈ કે તેનાં છોકરાં આગળથી છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

૧૨ હવે એમ કહેવાયું છે કે હિંદુસ્તાનીઓ મ્યુનિસિપલ સેલ્ફ ગવર્નમેન્ટ સમજે છે પણ પૉલિટિક્સ નથી સમજતા. અરજદાર અરજ કરે છે કે એ પણ હવે તો સાવ સાચું નથી. પણ ધારીએ કે એ બરાબર સાચું છે તોપણ જયાં પાર્લમેન્ટરી ગવર્નમેન્ટ ચાલતાં હોય તેવા દેશમાં ઈન્ડિયનને પૉલિટિકલ ફ્રેન્ચાઈઝનું બારણું બંધ કરી દેવાનું તે કંઈ કારણ છે? અરજદાર કહેવાને રજા માગે છે કે ખરી કસોટી તો એ જ છે કે અરજદાર અને જેની વતી તેઓ અરજી કરે છે તે લાયક છે કે નહીં, જ્યાં રાજા રાજ કરતો હોય (દાખલા તરીકે રશિયા) તેવા દેશમાંથી આવનાર પુરુષ કદી લૌકિક રાજયના ધોરણ ને ફાયદા સમજવાની પોતાની શક્તિ ન દેખાડી શકયો હોય અને તોપણ અમે માનવાની હિંમત ધરીએ છીએ કે નામદાર કાઉન્સિલ એવા માણસ જે બીજી વાતે લાયક હોય તો તેને નાલાયક ઠરાવી બાતલ નહીં કરે.

૧૩. પૂરું કરતાં પહેલાં અરજદાર લોર્ડ મૅકોલેના યાદ રાખવા લાયક નીચેના શબ્દો તરફ નામદાર કાઉન્સિલનું ધ્યાન ખેંચે છે:

આપણે સ્વતંત્ર ને સુધરેલા છીએ તોપણ જે મનુષ્યજાતના હરકોઈ ભાગને આપણે

તેટલાં જ સ્વતંત્રતા ને સુધારો આપતાં અચકાઈએ તો એ સુધારો ને સ્વતંત્રતા કંઈ કામનાં નહીં.

૧૪. અરજદાર આશા રાખે છે કે ઉપરની વાતો ને દલીલો બીજું કંઈ સાબિત ન કરે તો એટલું તો સાબિત કરશે કે હિંદુસ્તાનીની વોટ આપવા વિશેની લાયકીનાલાયકી વિષે અને તેઓને વોટ આપવા દેવાથી યુરોપિયન વોટ દબાઈ જઈ દેશીનું રાજય ઇન્ડિયનના હાથમાં જવા વિષે જે ધાસ્તી છે તેને સારુ કંઈ આધાર છે કે નહીં તે વિષે તથા એવી બીજી અગત્યની બાબતો વિષે તપાસ કરવાનું કમિશન નીમવાની ખરેખરી જરૂર છે.