પૃષ્ઠ:Gangasatina Bhajano.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કળજુગમાં જતિ સતી સંતાશે ને

કળજુગમાં જતિ સતી
કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં